રાવ-બનાસકાંઠા : રાજ્યમાં એક તરફ આગ દજાડતી ગરમીનો પ્રકોપ છે જેને લઈને લોકો ગરમથી બચવા ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે તો બીજી ત...
રાજ્યમાં હીટવેવની આગાહી થઈ રહી છે, તો બીજી તરફ બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. એવામાં રાજસ્થાનના સંત કેવદારામ દ્વારા બનાસકાંઠાના વિવિધ ગામોમાં જઈને ઉનાળાની શરૂઆતથી આકરી તપસ્યા અને ધ્યાન ધરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના રુણી ગામે સંત કેવદારામ દ્વારા રેલ નદીના પટમાં ગરમ રેતીમાં આકરી તપસ્યા હાથ ધરાઈ છે.
વિશ્વ શાંતિ અર્થે સંત કાળઝાળ ગરમીમાં ધખધખતા તાપમાં પોતાના સમગ્ર શરીર પર ગરમ રેતી રાખી બપોરના સમયે તપસ્યામાં લીન જોવા મળી રહ્યા છે. આ સંતની આકરી તપસ્યામાં માત્ર તેમનું મોઢું બહાર જોવા મળી રહ્યું છે, તો માળા ફેરવવા માટે હાથ બહાર જોવા મળી રહ્યું છે.
છેલ્લા 20 વર્ષથી વિશ્વ શાંતિ માટે થઈને આ સંત ઉનાળાના આકરા તાપમાં અલગ-અલગ જગ્યાએ જઈને તપ કરતા રહે છે. હાથમાં માળા અને ગરમ રેતીમાં ખાડો બનાવી બપોરના સમયે નદીના પટમાં તપસ્યા કરતા આ સંતને જોઈ લોકો અચરજ પામી રહ્યા છે.
નદીના પટની રેતીમાં બપોરના સમયે ચંપલ પહેરીને ચાલતા લોકો ગરમીમાં શેકાઈ જાય છે. જ્યારે આ સંત કાળઝાળ ગરમીમાં કપડાં કાઢીને નદીની રેતીની અંદર સૂઈને કઠિન તપસ્યા કરી રહ્યા છે. તેઓ છેલ્લા 20 જેટલા વર્ષોથી વિશ્વ શાંતિ માટે થઈને આ સંત ઉનાળાના આકરા તાપમાં તપ કરતા જોવા મળે છે.
સંત રાજસ્થાન અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં નદીનો પટ હોય તે નદીના પટમાં બપોરના 12:00 વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધી કપડાં ઉતારીને સૂઈ જાય છે. એક તરફ હાલ અંગ દઝાડતી ગરમી છે, તો બીજી તરફ સંતની વિશ્વ શાંતિ માટેની કઠોર તપસ્યાને લઈને હાલ બનાસકાંઠા જિલ્લામાં આ સંતના દર્શન કરવા લોકો દૂર દૂરથી પહોંચી રહ્યા છે.