Couples Hotel Stay Right: તાજેતરમાં એક એવો નિર્ણય સામે આવ્યો જેના કારણે ભારતમાં અપરિણીત કપલના હોટલમાં રહેવા અંગે ચર્ચા એકવાર ફરીથી તેજ થઈ છે. બન્યું એવું કે OYO એ એક જગ્યાએ પોતાની ચેક ઈન પોલીસીમાં ફેરફાર કર્યો છે. જેના કારણે આ ચર્ચા પાછી છેડાઈ છે કે શું અપરિણીત કપલને હોટલમાં સાથે રોકાવવાનો અધિકાર છે ખરો?
ભારતીય કાયદા મુજબ 18 વર્ષ બાદ વ્યક્તિ વયસ્ક ગણાય છે. વયસ્કોને મુસાફરી કરવાની, ક્યાંય પણ રહેવાની અને હોટલમાં રોકાવાનો કાનૂની અધિકાર છે. આ હક બંધારણની કલમ 21 દ્વારા સંરક્ષિત છે જેમાં વ્યક્તિની પ્રાઈવસી અને વ્યક્તિગત સ્વતંત્રતાની ગેરંટી આપવામાં આવી છે. જો કોઈ અપરિણીત કપલ હોટલમાં સાથે રોકાયું હોય તો ફક્ત આ એક આધાર પર તેમની ધરપકડ થઈ શકે નહીં.
જો પોલીસ કોઈ હોટલ પર રેડ મારે અને ત્યાં વયસ્ક કપલ મળી આવે તો કોઈ પણ અપરાધિક ગતિવિધિના આરોપ વગર તેમની ધરપકડનો કોઈ કાનૂની આધાર નથી. એક ઓનલાઈન મીડિયા રિપોર્ટ મુજબ એક્સપર્ટનું કહેવું છે કે જો વયસ્ક છોકરી અને છોકરો આપસી સહમતિથી સાથે હોય તો પોલીસ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે નહીં. પરંતુ જો છોકરી ગંભીર આરોપ લગાવે કે પોતાનું નિવેદન બદલી નાખે તો સ્થિતિ બદલાઈ શકે છે અને મામલો કોર્ટમાં જઈ શકે છે.
આ સંલગ્ન કેસો પર નજર ફેરવીએ તો 2019માં મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અપરિણીત કપલનું હોટલમાં રહેવું ન તો ગેરકાયદેસર છે કે ન તો ગુનો. કોર્ટે કહ્યું હતું કે જ્યારે વયસ્કો વચ્ચે લિવ ઈન રિલેશનશીપ ગુનો નથી તો હોટલમાં રહેવું પણ ગુનો માની શકાય નહીં. એ જ રીતે 2009માં દિલ્હી હાઈકોર્ટ અને 2013માં મદ્રાસ હાઈકોર્ટે પણ આ નિર્ણય આપ્યો હતો.
ઓયો અને અન્ય હોટલો દ્વારા અનેક શહેરોમાં અપરિણીત કપલને રોકાવવાની મંજૂરી ન આપવી એ મેનેજમેન્ટ નીતિ અને સ્થાનિક સામાજિક દબાણને કારણે થતું હોય છે. આ કોઈ કાનૂની નિયમ હેઠળ આવતું નથી. એક્સપર્ટ્સે એ પણ સ્વીકાર્યું કે વયસ્ક કપલને હોટલમાં રહેવાનો કાનૂની હક છે.
હાલ આ સમગ્ર મામલે વયસ્ક કપલ્સને પોતાના કાનૂની અધિકારો વિશે જાણકારી હોવી જોઈએ. જો પોલીસ હસ્તક્ષેપ કરે તો શાંતિ જાળવી રાખવી અને કાનૂની સલાહ લેવી મહત્વનું છે. વયસ્કતાનું પ્રમાણ પત્ર આપવા માટે ઓળખ પત્ર દેખાડવું અને હોટલમાં બંને વ્યક્તિઓના દસ્તાવેજ જમા કરાવવા પણ જરૂરી છે.
જો કે કાયદો વયસ્ક કપલ્સના અધિકારોની રક્ષા કરે છે પરંતુ આમ છતાં એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતીય સમાજમાં હજુ પણ આ મુદ્દે રૂઢિવાદી વિચારધારા હાવી છે. અત્યારના સમયમાં સમાજે આ પૂર્વાગ્રહોને છોડીને વયસ્કોની પ્રાઈવસી અને સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ. આમ કરવું એ કાયદાના પાલન ઉપરાંત એક સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજની નિશાની પણ છે.