Jain Samaj Diksha : સુરતમાં ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્રએ 19 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. જે દીકરો સ્કૂલ બંક કરીને મિત્રો સાથે ફરતો, તે આજે માત્ર અધ્યાત્મમાં રસ્તે વળી ગયો. તમામ સુખ સાહ્યબી છોડીને ભવ્ય મહેતા દીક્ષા લેશે.
સુરતના ટેક્સટાઇલ વેપારીનો પુત્ર ભવ્ય મહેતા સંયમનો માર્ગ અપનાવશે. માત્ર 19 વર્ષની ઉંમરે ભવ્ય મહેતાનો દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. 7 નવેમ્બર, 2025ના રોજ સુરતમાં દીક્ષા સમારોહ યોજાશે. જેમાં ભવ્ય મહેતા લક્ઝુરિયસ જીવન છોડી ભવ્ય આધ્યાત્મિક માર્ગે આગળ વધશે.
મોબાઈલ, ફિલ્મો અને ક્રિકેટના શોખીન ભવ્યમાં અચાનક પરિવર્તન આવ્યું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે ભવ્યના હ્રદયમાં ધાર્મિક ભાવ જાગ્યો હતો. જે જોઈ પરિવાર શરૂઆતમાં આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પણ હવે ખુશીથી સહમતિ આપી.
ભવ્યના પિતા રાજેશભાઈ મહેતા કહે છે કે, ભવ્યના નિર્ણયથી પહેલા મારું મન કાચું પડ્યું. તો માતાને દીકરો મુનિમાર્ગે જાય તેવો સંકલ્પ પહેલેથી જ હતો. ધોરણ 12 બાદ ભવ્ય મુનિઓના સાનિધ્યમાં જીવન જીવી રહ્યો છે.
તેના માતા કહે છે કે, ગુરુદેવના પ્રેમ અને કરુણાથી ભવ્યમાં આધ્યાત્મિક વિકાસ જાગ્યો છે. ભવ્યએ ગુરુદેવ સાથે સિદ્ધિ તપ પણ કર્યો છે. ઓમકાર સૂરીશ્વરજી અને યશો વિજય મહારાજશ્રીઓ આશીર્વાદ આપશે. આ દીક્ષા સમારોહમાં શ્રમણ-શ્રમણીઓનો વિશાળ સહભાગ રહેશે. સુરતના જૈન સમાજમાં ભવ્યની દીક્ષા મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો.
ંજૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.
જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.