Gujarat Water Crises નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી : ઢોલ, નગારા અને મંજીરાના તાલે પારંપરિક ઢબે નાચતે ગાજતે જતા આ લોકો કંઈ લગ્ન કે સગાઈ જેવા શુભ પ્રસંગે નથી જઇ રહ્યા. આ આદિવાસીઓ ગામમાં વર્ષો બાદ પાણી આવતા પાણીના પધરામણા માટે જઈ રહ્યા છે. ચાર દાયકાથી પાણી માટે વલખા મારતા આદિવાસીઓ પાણી જોઈ ખુશખુશાલ થઈ ગયા.
આદિવાસી સમાજ દરેક શુભ પ્રસંગોને ખુબજ ઉત્સાહભેર ઉજવે છે. ત્યારે વર્ષો બાદ તેમના ગામની નદી, નાળા, તળાવો અને બોર કૂવામાં નવા નીર આવે તો તેમનો ઉત્સાહ બેવડાઈ જાય છે. આવું જ કઈક સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગોમાં આવેલ 20 થી વધુ ગામોમાં જોવા મળી રહ્યું છે. અહીં આશરે ચાર દાયકા એટલે કે ચાલીસ વર્ષ બાદ નદી નળાઓ, તળાવોમાં નવા નીર એપ્રિલ માસમાં જોવા મળ્યા છે.
એપ્રિલમાં પાણી આવવાને પગલે તેમના બોર, કુવાના જળ સ્તર ઊંચા ગયા છે, અને તેમને પીવાના પાણી સહિત તેમના પશુઓ અને ખેતી માટે આગામી દિવસોમાં પાણી મળી રહેશે અને વર્ષો બાદ તેઓ ઉનાળુ પાક કરશે તેવી આશા સાથે આ આદિવાસીઓ પોતાની આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા અને મંજીરાના તાલે નાચતે ગાજતે નીકળ્યા. ગામની નદીમાં આવેલ નવા નીરના આદિવાસી પરંપરા મુજબ ફૂલ, કંકુ, ચોખા અને નારિયેળ સાથે વધામણાં કરવા નીકળી પડ્યા હતા.
ંછેલ્લા 40 થી વધુ વર્ષોથી માર્ચ-એપ્રિલ માસમાં આ ગામોમાં નદી નળાઓ તળાવો સૂકાઈ જાય છે. તેથી આ વિસ્તારના લોકો ઉનાળુ પાક પાણીના અભાવે લઈ શક્તા નથી, તેમને માંડ પીવાનું અને તેમના પાલતુ પશુઓ માટે પાણી આમ તેમ દૂર દૂરથી લાવી ગુજરાન ચલાવું પડતું હોય છે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ ગામોની પરિસ્થિતિ ઉનાળા દરમ્યાન કફોડી બની જતી હતી.
ગામ અગ્રણીઓનું કહેવું છે જો આગામી દિવસોમાં પાણી ન આવતે તો આગામી ચાર પાંચ વર્ષમાં અમારે ગામમાંથી ઉનાળાના ચાર પાંચ મહિના હિજરત કરવાનો વારો આવતો. પરંતુ ગામવાસીઓની અગવડતા અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને તંત્રએ 2019-20 માં આ વિસ્તારને હરિયાળો કરવાને માટે કરોડો રૂપિયાની યોજના મૂકી અને આજે ઉકાઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આ વિસ્તારના 54 ગામોને હરિયાળા કરાશે. જે પૈકી 20 જેટલા ગામોને પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે તબક્કાવાર અન્ય ગામોને પણ અપાશે તેવું જવાબદાર અધિકારીનું કહેવું છે.
મુખ્યત્વે ખેતી પશુપાલન પર નભતો તાપી જિલ્લાનો આ વિસ્તાર છેલ્લા ચાર દાયકાથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં આ વિસ્તારના કેટલાક ગામોની ફરિયાદ સરકારના કાને પહોંચતી ન હતી. તેથી પાણી આવતા ગામોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.