અમદાવાદ શહેરમાં કોરોના (Coronavirus) ને પ્રસરતો અટકાવવા માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા પાંચ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરાયા છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના 5 બ્રિજ બંધ કરાતા સમગ્ર ટ્રાફિક સુભાષબ્રિજ તરફ ડાયવર્ટ થયો છે. આ કારણે અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ ખાતે વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને કારણે જરૂરી કામ સાથે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો બ્રિજ તરફ બિનજરૂરી કામથી નીકળેલા લોકોને તંત્ર દ્વારા દંડ ફટકાવામાં આવ્યો હતો.
સુભાષ બ્રિજ તરફ ટ્રાફિક જામ થતા એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ માટે માર્ગ ખુલ્લો કરી આપવામાં આવ્યો હતો. તો સાથે જ પોલીસ દ્વારા તમામના આઈકાર્ડ ચકાસી, બિનજરૂરી અવરજવર કરતા લોકોને ફટકારાઈ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી પસાર થઈ રહેલા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જરૂરી સર્વિસ સાથે સંકળાયેલા લોકોના ઓળખપત્ર ચકાસવામાં આવી રહ્યા છે. તો સાથે જ બિનજરૂરી આવનજાવન કરતા તમામને દંડ ફટકરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમદાવાદના ગાંધી બ્રિજ, દધીચિ બ્રિજ, આંબેડકર બ્રિજ, નહેરૂ બ્રિજ, સરદાર બ્રિજ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. તો સુભાષ બ્રિજ અને એલિસબ્રિજ પર સરકારી કર્મચારીઓ અને પાસ ધારકો ચકાસણી કરાવ્યા પછી જઈ શકાશે.