Climate Change Impact: ગ્લોબલ વોર્મિંગનો કહેર આ રીતે ચાલુ રહેશે, તો વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આનાથી સીધી અસર 2 અબજ લોકોની આજીવિકા પર પડશે.
ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે આબોહવા પરિવર્તનની ગંભીર અસરો થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરા વચ્ચે એક ખૂબ જ ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. આ સ્ટડીની અસર ભારતમાં પણ પડવાની છે.
વૈજ્ઞાનિકોની નવી સ્ટડી હિન્દુ કુશ હિમાલય વિશે છે. સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે, સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલયનો 75% બરફ પીગળી શકે છે.
સ્ટડીમાં ખુલાસો થયો છે કે, જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો 200 કરોડથી વધુ લોકોને પાણી પૂરું પાડતી નદીઓના સ્ત્રોત બગડશે.
સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ જો તાપમાન 1.5 ડિગ્રી સુધી મર્યાદિત રાખવામાં આવે તો 40-45% બરફ બચાવી શકાય છે.
સ્ટડી અનુસાર જો વર્તમાન આબોહવા નીતિઓ ચાલુ રહેશે, તો 2100 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન 2.7 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે ફક્ત 25% હિમનદીઓ જ બચશે.
હિન્દુ કુશ હિમાલય ક્ષેત્ર 10 મુખ્ય નદીઓને પાણી પૂરું પાડે છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓનું પાણી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને ચીન જેવા દેશો માટે જીવન રેખા તરીકે કામ કરે છે.
બરફ પીગળવાથી આ દેશોમાં પાણી, કૃષિ અને ઉર્જા સંકટ સર્જાઈ શકે છે. આ સાથે બરફ પીગળવાથી પહેલા નદીઓમાં પૂર આવશે અને પછી પાણીની અછત સર્જાશે. બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર વધશે જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરો વધશે.
હિન્દુ કુશ હિમાલય અને દુનિયાના અન્ય ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે, જે લગભગ 200 કરોડ લોકો માટે ખતરો છે.
જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં આવે તો થોડો બરફ બચાવી શકાય છે.