નવી દિલ્હીઃ BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્ય મદન લાલનું માનવું છે કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધી ભારતીય ક્રિકેટ ટીમને નવા પસંદગીકાર મળી જશે. મદન લાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાઇકની નવી સીએસીની માથે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાના સ્થાને બે નવા પસંદગીકારની ભરતી કરવાની જવાબદારી છે. મદનલાલે કહ્યું કે, નવા પસંદગીકારોના નામની જાહેરાત કરવા માટે હજુ કોઈ તારીખ નક્કી થઈ નથી, તેમ છતાં એક-બે માર્ચ સુધી આ નામોની જાહેરાત થઈ શકે છે.
મદનલાલે કહ્યું, 'અમારી પાસે યાદી આવી ગઈ છે, હવે અમે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરીશું. અમે ત્રણેય બેસી જોઈ અને નિર્ણય લઈશું કે અંતિમ રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે કોને બોલાવવામાં આવે. ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડથી પરત આવતા પહેલા એક કે બે માર્ચ સુધી અમે નવા પસંદગીકારની જાહેરાત કરી દઈશું.'
તેમણે કહ્યું, 'અમે તેને જલદી પૂરુ કરવા ઈચ્છીએ છીએ કારણ કે સિલેક્ટરોએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે ટીમની પસંદગી કરવાની છે જે 12 માર્ચથી શરૂ થશે.' મદનલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સીએસીના ત્રણેય સભ્યોએ બેઠક કરી છે તો તેમણે કહ્યું કે, અત્યાર સુધી માત્ર ઉમેદવારોના નામ મળ્યા છે અને અત્યાર સુધી બેઠક યોજાઇ નથી.
પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામાકૃષ્ણનન અને પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં છે. નિયમોને જોવામાં આવે તો ટેસ્ટ મેચ રમવાના મામલામાં સૌથી વધુ સીનિયર ખેલાડીને સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડીને જ મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે.
જો આ વાત પ્રમાણે જોવામાં આવે તો શિવરામાકૃષ્ણનને અગરકર પાછળ છોડી શકે છે, કારણ કે અગરકરે ભારત માટે 26 ટેસ્ટ મેચ રમી છે, જ્યારે લેગ સ્પિનરે નવ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ અગરકરનો આવવાનો મતલબ છે કે સમિતિમાં પશ્ચિમ ક્ષેત્રથી બે પસંદગીકાર હશે, કારણ કે જતિન પરાંજપયે પહેલાથી જ સમિતિમાં છે. આ બંન્ને સિવાય પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ ઉમેદવારોની યાદીમાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે