માન્ચેસ્ટર : ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC Cricket World Cup 2019) અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. મંગળવારને આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવા જઇ રહ્યો છે જેને પગલે ભારત અને વિશ્વમાં વસતા ક્રિકેટ રસિકો ગેલમાં આવ્યા છે. ભારતીય સમય મુજબ આજે બપોરે ત્રણ કલાકે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ જંગ ખેલાશે. ન્યૂઝીલેન્ડ ભૂતકાળનું પુનરાવર્તન કરવા ઇચ્છી રહ્યું છે તો ભારત નવો ઇતિહાસ બનાવવા મક્કમ છે. પરંતુ માન્ચેસ્ટરના હવામાન તરફ નજર નાંખીએ તો વરસાદ થવાની સંભાવનાને પગલે મેચને લઇને આશંકાઓ સેવાઇ રહી છે. જોકે જો વરસાદથી આજે મેચ ન રમાય તો બુધવારનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. જોકે આ દિવસે પણ મેચ ન રમાય તો ભારત માટે ઉજળા સંકેત છે અને ભારત ફાઇનલમાં સીધુ રમી શકે એમ છે.
આ પણ વાંચો: મેચ પર વરસાદના વિધ્નની સંભાવના
પ્લેયર્સ અને ભારતીય ફેન્સ મેચને લઇને ભારે ઉત્સુક છે. હાર્દિક પંડ્યાએ તો એટલે સુધી કહી દીધું છે કે, તે ભારે ઉત્સુકતાથી મેચની રાહ જોઇ રહ્યો છે. એનો સમય જ પસાર નથી થતો. આ રોમાંચ વચ્ચે ઇન્દ્ર દેવતાના વિધ્નને લઇને સૌ કોઇ ચિંતિત છે. મંગળવારે મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના 50 ટકા જેટલી સેવાઇ રહી છે. જોકે જો આજે એક પણ બોલ ન નંખાય તો બુધવારે ફરીથી મેચ રમાઇ શકે છે.
જોકે આ અંગે ક્રિકેટ વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો બંને દિવસમાં પણ મેચ ન રમાય તો બાદમાં બંને ટીમોનું લીગ મેચનું પ્રદર્શન ધ્યાને લેવામાં આવશે. આ સ્થિતિમાં ભારતનું પલ્લુ ભારે રહેશે અને ભારત ફાઇનલમાં રમવા માટે ક્વોલિફાય થશે. અત્યાર સુધી ભારતે ટુર્નામેન્ટમાં 15 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડને 11 પોઇન્ટ જ છે. આ સ્થિતિમાં ભારત ફાઇનલમાં રમી શકે છે અને વરસાદ થાય તો ન્યૂઝીલેન્ડને નુકસાન જઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે