નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (Ind Vs Aus) વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India)ને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને કેનબરામાં પ્રથમ ટી20 મુકાબલા દરમિયાન માથામાં ઈજા થઈ હતી. તેના સ્થાને ટીમમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવ્યો છે. જાડેજાએ પ્રથમ ટી20 બુકાબલામાં બેટથી દમદાર પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન તેણે 44 રન બનાવ્યા હતા. જેની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં વિજય મેળવવામાં સફળ રહી હતી.
પ્રથમ ટી20માં દમદાર ઈનિંગ
ઓલરાઉન્ડર જાડેજાએ શુક્રવારે કેનબરાના મનુકા ઓવલમાં રમાયેલ પ્રથમ ટી20 મુકાબલામાં આક્રમક ઈનિંગ રમી હતી. જાડેજાએ અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરતા 23 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ સામેલ છે. સાતમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેઝલવુડની 19મી ઓવરમાં એક સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ આ સાથે નંબર 7 પર બેટિંગ કરતા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.
બેટિંગ દરમિયાન થઈ ઈજા, સિરીઝમાંથી બહાર
પ્રથમ ટી20મા બેટિંગ દરમિયાન જાડેજાના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. ઈજા છતાં તેણે પોતાની બેટિંગ આગળ વધારી અને ભારતને સન્માનજક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. બાદમાં તે ફીલ્ડિંગ અને બોલિંગ માટે મેદાન પર આવ્યો નથી. તેના કનકશન વિકલ્પ તરીકે ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો. ચહલે 4 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.
ફાસ્ટ બોલર શાર્દુલને ટીમમાં મળ્યું સ્થાન
આ ઈજાને કારણે જાડેજા ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ ટ્વીટમાં જણાવ્યું કે, જાડેજા પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. જાડેજાના સ્થાને હવે શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝની બીજી ટી20 મેચ સિડનીમાં 6 ડિસેમ્બરે રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે