નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ શાનદાર સદી ફટકારી હતી. જ્યારે ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો ત્યારે પૂજારા મેદાનમાં આવ્યો હતો. પૂજારાએ ધૈર્ય અને સંયમની સાથે ભારતની ઈનિંગને સંભાળી હતી. તેણે 246 બોલ પર 7 ફોર અને 2 સિક્સની મદદથી 123 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પૂજારાની ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ સદી હતી. તેની આ સફળતાને કારણે તેને ખુબ શુભેચ્છાઓ મળી રહી છે.
પૂજારાએ પોતાની આ શાનદાર ઈનિંગનો શ્રેય કાઉન્ટી ક્રિકેટને આપ્યો છે. પૂજારા કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર તરફથી રમે છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પૂજારાએ પોતાની આ સદીની ક્રેડિટ કાઉન્ડ ક્રિકેટને આપતા કહ્યું, યોર્કશાયરની સાથે રમતા મેં રમતના વિવિધ પાસાં શિખ્યા છે. પૂજારાએ કહ્યું, ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટે મારી રમતમાં સુધાર કર્યો. ઈંગ્લેન્ડની પરિસ્થિતિ હંમેશા પડકાર જનક હોય છે. જ્યારે તમે ત્યાંથી ઓસ્ટ્રેલિયા રમવા આવો છો તો તમે જાણો છે કે, અહીં સ્થિતિ થોડી સારી હશે.
ભારતીય ખેલાડી ચેતેશ્વર પૂજારા યોર્કશાયરના ડ્રેસિંગ રૂમમાં ખૂબ લોકપ્રિય છે. ડ્રેસિંગ રૂમમાં પૂજારાને નિકનેમ સ્ટીવ આપવામાં આવ્યું છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ને તેનો ખુલાસો કર્યો છે. તેણે ટ્વીટર પર જણાવ્યું કે, પૂજારાને યોર્કશાયરની ટીમમાં સ્ટીવ કેમ કહેવામાં આવે છે.
શેન વોર્ને પૂજારાને શુભેચ્છા આપતા લખ્યું- પૂજારાની શાનદાર ઈનિંગ, અથવા તમે કહી શકો છો કે સ્ટીવની શાનદાર ઈનિંગ, કારણ કે યોર્કશાયરની ટીમમાં લોકો તેને આ નામે બોલાવે છે. કારણ કે તે ચેતેશ્વરની ઉચ્ચારણ કરી શકતા નથી. સદી ફટકારવા માટે શુભકામનાઓ.
Terrific innings from Pujara or “Steve” as the Yorkshire men called him as they couldn’t pronounce his first name Cheteshwar ! Congrats on a great 💯 👍
— Shane Warne (@ShaneWarne) December 6, 2018
પરંતુ ચેતેશ્વરને આ નામ પસંદ નથી. જ્યારે યોર્કશાયરના ખેલાડીઓ તેને સ્ટીવ નામ આપ્યું તો તેણે કહ્યું હતું કે, તમે ચેતેશ્વર ન બોલાવી શકો તો મને પૂજારા કહો. મહત્વનું છે કે, પૂજારા છેલ્લા ઘણા સમયથી કાઉન્ટી રમી રહ્યો છે. તે ડર્બીશાયર અને નોટિંઘમશાયર તરફથી પણ રમી ચુક્યો છે.
પૂજારાએ મેચ બાદ કહ્યું, હું આ ઈનિંગને ટેસ્ટમાં મારી ટોપ-5 ઈનિંગમાં રાખુ છું. હું તે નથી કહી શકતો કે આ સર્વશ્રેષ્ઠ હતી. મારી ટીમના ખેલાડીઓએ મારી ઈનિંગની પ્રશંસા કરી અને કહ્યું કે, આ મારી બેસ્ટ ઈનિંગમાંથી એક હતી. અંતિમ સત્રમાં ભારતની માત્ર ચાર વિકેટ બાકી હતી. પૂજારાએ સ્વીકાર કર્યો કે છેલ્લા સત્રમાં બેટિંગ કરવી મુશ્કેલ હતી.
INDvsAUS: પૂજારા 5 હજારની ક્લબમાં સામેલ, દ્રવિડની સાથે અજબ સંયોગ
પૂજારાએ કહ્યું, ત્રીજુ સત્ર મુશ્કેલ હતું. પરંતુ હું સેટ હતો અને મારા શોટ રમી શકતો હતો. અમે સાત વિકેટ ગુમાવી દીધી હતી. હું અને અશ્વિન સારૂ રમી રહ્યાં હતા અને અમારી વચ્ચે ભાગીદારી પણ થઈ રહી હતી. જ્યારે અશ્વિનની વિકેટ પડી ત્યારે મને લાગ્યું કે, મારે ઝડપથી રન બનાવવા પડશે. હું જાણતો હતો કે આ વિકેટ પર ક્યા શોટ રમી શકુ છું. હું બે સત્રમાં રમી ચુક્યો હતો. હવામાનને જોતા ત્રીજુ સત્ર મુશ્કેલ હતું. પૂજારા ભારતની નવમી વિકેટના રૂપમાં 123 રન બનાવી રનઆઉટ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે