ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. જોકે આ મેચ પહેલાં અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતને વધારે વિકલ્પ નહીં મળે. જોકે બીજા ઝડપી બોલર માટે ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. સામાન્ય રીતે સ્પિનરો માટે મદદગાર ચેપોકના મેદાન પર બે ઝડપી બોલર અને 3 સ્પિનર સાથે ઉતરી શકે છે.
કોણ હશે બીજો ઝડપી બોલર:
ઈશાંતે છેલ્લા 1 વર્ષથી લાલ બોલથી ક્રિકેટ રમી નથી. જ્યારે સિરાઝ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર ફોર્મમાં હતો. જ્યાં તેણે બ્રિસ્બેનમાં એક ઈનિંગ્સમાં 5 વિકેટ સાથે 3 ટેસ્ટમાં કુલ 13 વિકેટ ઝડપી હતી. ઈશાંતે હાલમાં ક્રિકેટમાં વાપસી કરી છે. જ્યાં તેણે ચાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં કુલ 14.1 ઓવર બોલિંગ કરી હતી.
સ્પિનરમાં કોનો સમાવેશ થશે:
બીજો નિર્ણય થોડો મુશ્કેલ બની શકે તેમ છે. કેમ કે જ્યાં ફોર્મમાં ચાલી રહેલા વોશિંગ્ટન સુંદર અને ડાબા હાથના સ્પિનર અક્ષર પટેલમાંથી એકને સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબા હાથના સ્પિનક કુલદીપ યાદવનો સાથ આપવા માટે પસંદ કરી શકાય તેમ છે. વોશિંગ્ટને બ્રિસ્બેન ટેસ્ટમાં ડેબ્યુ કરતાં અડધી સદી ફટકારી અને 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બુધવારે ટ્રેનિંગની સાથે જોડાઈ ગયો. લાંબા સમય પછી ટેસ્ટ ટીમનો ભાગ બનેલ પંડ્યા પિતાનું અવસાન થતાં એક દિવસ મોડેથી ટીમ સાથે જોડાયો હતો. પંડ્યાને ભલે પહેલી મેચમાં રમવાની તક ન મળે પરંતુ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝને જોતાં તેની બોલિંગનો ભાર વધવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે