નવી દિલ્હી: નેપાળ ભારત સાથે સરહદ વિવાદને લઈને વારંવાર ચીન સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ચીને લાગે છે કે હવે તેનાથી અંતર જાળવવા માંડ્યુ છે. લિપુલેખમાં ભારતના કૈલાશ માનસરોવર રોડ લિંકના ઉદ્ધાટન બાદથી નેપાળ સાથે સરહદ વિવાદ ફરીથી એકવાર ઊભરી આવ્યો છે. સોમવારે નેપાળે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ત્રણેય ભારતના વિસ્તારોને પોતાના નક્શામાં સામેલ કર્યાં અને કહ્યું કે તે પોતાની જમીન પર દાવો કોઈ પણ કિંમતે છોડશે નહીં. ભારતે લિપુલેખથી તિબ્બતમાં માનસરોવર સુધી રસ્તો બનાવ્યો છે જે નેપાળને પચતો નથી.
નેપાળનું કહેવું છે કે લિપુલેખ તેનો વિસ્તાર છે જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવ્યો છે. નેપાળની આપત્તિ પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે તાજેતરમાં કહ્યું હતું કે પિથોરાગઢ જિલ્લામાં જે રસ્તાનું ઉદ્ધાટન થયું છે તે પૂરી રીતે ભારતીય વિસ્તારમાં છે. કૈલાશ માનસરોવર યાત્રા પર જનારા તીર્થયાત્રીઓ આ રસ્તે થઈને જાય છે.
હકીકતમાં આ સમગ્ર વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ વીડિયો લિંકથી 90 કિમી લાંબા આ રસ્તાનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે પિથોરાગઢથી વાહનોના પહેલા કાફલાને રવાના કર્યો હતો. સરકારનું કહેવું છે કે આ રસ્તાથી સરહદી ગામ પહેલીવાર સડકમાર્ગથી જોડાશે.
ચીને પહેલીવાર આપ્યું નિવેદન
મંગળવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શાઓ લિજિઆનને એક પત્રકારે રોજ થનારી પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલ પૂછ્યો હતો. તેણે પૂછ્યું કે ભારતે કાલાપાની વિસ્તારમાં એક રસ્તો બનાવ્યો છે અને આ વિસ્તારને લઈને નેપાળ-ભારતમાં વિવાદ છે. નેપાળની સરકારે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ભારત નેપાળની સંપ્રભુતાનો ભંગ કરી રહ્યું છે. ગત અઠવાડિયે ભારતના સેના પ્રમુખે મનોહર પર્રિકર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ એન્ડ એનાલિસિસ તરફથી આયોજિત પ્રોગ્રામમાં કહ્યું હતું કે સમગ્ર વિવાદમાં કોઈ ત્રીજી તાકાત સામેલ છે. તમારે આ વિશે શું કહેવું છે?
આ સવાલના જવાબમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "કાલાપાની મુદ્દો ભારત અને નેપાળનો દ્વિપક્ષીય મુદ્દો છે. અમને આશા છે કે આ વિવાદ બંને દેશો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલશે અને કોઈ પણ પક્ષ એકતરફી કાર્યવાહી કરવાથી બચશે જેથી કરીને મામલો વધુ જટિલ ન થાય".
જુઓ LIVE TV
નેપાળી અખબાર કાઠમંડૂ પોસ્ટના જણાવ્યાં મુજબ નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ સંસદમાં મંગળવારે કહ્યું હતું કે લિપુલેખ મુદ્દાને ઉકેલવા માટે તેઓ ચીન સાથે વાતચીત કરી રહ્યા છે. નેપાળી પીએમએ મંગળવારે સંસદમાં કહ્યું કે અમારી સરકારના પ્રતિનિધિ ચીન સાથે વાત કરી રહ્યાં છે. ચીને કહ્યું કે લિપુલેખથી માનસરોવર સુધીનો રસ્તો ભારત-ચીન વચ્ચે ટ્રેડ અને પર્યટન રૂટ માટે છે અને તેનાથી લિપુલેખના ટ્રાઈ જંકશન સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં.
ભારત અને ચીન વચ્ચે તેને લઈને 2015માં જ વાતચીત શરૂ થઈ ગઈ હતી. નેપાળ ત્યારથી તેનો વિરોધ કરી રહ્યું છે. ભારતના હજારો તીર્થ યાત્રીઓ કૈલાશ માનસરોવર અનેક રૂટથી જાય છે પરંતુ લિપુલેખ રૂટને નાનો ગણાવવામાં આવે છે. આ રૂટથી સમય બચશે. સમગ્ર મામલે ચીન અત્યાર સુધી ચૂપ હતું પરંતુ મંગળવારે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે