નવી દિલ્હી: પાકિસ્તાને પોતાના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં નિયંત્રણ રેખા (એલઓસી)ની 30 કિમી અંદર એક જગ્યાએ લગભગ બે હજાર જેટલા સૈનિકો તહેનાત કર્યા છે. આ જાણકારી ભારતીય સેનાના સૂત્રોએ આપી. મળતી માહિતી મુજબ પીઓકેમાં જવાનોને બાગ અને કોટલી સેક્ટરમાં રાખવામાં આવ્યાં છે. આ બાજુ પીઓકેમાં મોટા પાયે થઈ રહેલી હલચલને જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ એકદમ અલર્ટ છે.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જવાનોની તહેનાતી કરવા અંગેની આ ગતિવિધિ ભારત સાથેના વધતા તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનું એ રક્ષાત્મક પગલું હોઈ શકે છે. સ્થાનિક ઈનપુટ સહિત વિભિન્ન ગુપ્ત સ્ત્રોતોના માધ્યમથી જવાનોની તહેનાતી અને સ્થાનની પુષ્ટિ થઈ છે.
EXCLUSIVE: પીઓકેમાં LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ
સુરક્ષા એજન્સીઓની બાજ નજર
સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનમાં સેનાની અવરજવર પર બાજ નજર રાખી રહી છે અને એ જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે કે તેનાથી ભારતને હાલ કોઈ ખતરો તો નથી ને.
પાકિસ્તાનની સેનાનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવવાનું પગલું લેવાયા બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાની વાત કરી છે. પાકિસ્તાને કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા માનવાધિકારોના ભંગનો આરોપ લગાવતા કાશ્મીરીઓના પડખે હોવાનું વચન આપ્યું છે.
જુઓ LIVE TV
ભારતે આપી ચેતવણી
આ બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ચેતવણી ઉચ્ચારી છે કે ભારત પોતાની રક્ષા માટે પોતાની સૈન્ય તાકાતનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. તેમણે ભારતની પરમાણુ હથિયારો અંગે પહેલો ઉપયોગ નહીં કરવાની પરમાણુ નીતિ અંગે કહ્યું હતું કે તે વાત ભવિષ્યની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ પકડાયેલા બે લશ્કર એ તૈયબાના આતંકીઓના કબુલનામાથી જાણવા મળ્યું છે કે લગભગ 300 તાલિમબદ્ધ આતંકીઓ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં બેઠા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે