નવી દિલ્હીઃ ગત રાત્રીએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પુંછ વિસ્તારમાં પાકિસ્તાનના બે યુદ્ધ વિમાનોએ સુપરસોનિક ઝડપે ઉડાન ભરી હતી. ભારતીય એર ડિફેન્સના રડારમાં આ વિમાનો પકડાઈ ગયા હતા. આ ઘટના બાદ ભારતની રડાર સિસ્ટમને હાઈએલર્ટ પર મુકી દેવાઈ છે. સમાચાર એજન્સી ANI પર આ સમાચાર પ્રકાશિત કરાયા છે.
આ અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના યુદ્ધ વિમાનોએ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય વાયુસેનાએ તેનો જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. પાકિસ્તાન જમીની સરહદ પર પણ સતત યુદ્ધ વિરામની શરતોનું ઉલ્લંઘન કરતું રહ્યું છે.
સરહદ પારથી જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાની સેવા દ્વારા કોઈ પણ કારણ વગર મોર્ટારથી કરવામાં આવેલા હુમલા અને નાના હથિયારો દ્વારા કરાયેલા ગોળીબારની ઘટના બાદ બુધવારે ભારતે સરહદ પારના વેપારને અટકાવી દીધો છે. એલઓસી પર વ્યાપાર કેન્દ્રના સંરક્ષણ ફરીદ કોહલીએ જણાવ્યું કે, ચિક્કન-દા-બાગમાં વેપાર સુવિધા કેન્દ્ર પર મોર્ટારથી પાંચ ગોળા ફેંકાયા હતા. જેના કારણે એક્સરે સ્કેનરના રૂમ સહિત અન્ય સ્થળોએ નુકસાન પહોંચ્યું છે.
જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર 'સર્જિકલ સ્ટ્રાઇક', જાણો કેવી રીતે જાહેર કરાશે વૈશ્વિક આતંકી?
તેમણે જણાવ્યું કે, લગભગ 12.30 કલાકે ગોળીબાર કરાયો હતો. એ સમયે ટ્રકોની તપાસનું કામ લગભગ પુરું થઈ ગયું હતું. ગોળીબારમાં કોઈનું મોત થયું નથી. ગોળીબારીને કારણે બુધવારે આખા દિવસ દરમિયાન સરહદ પારના વેપારને અટકાવી દેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે