જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાની બીજી ઈનિંગ શરૂ કરી તો ત્યારે જ રાજકીય પંડિતો એવું માનતા હતા કે આ કાર્યકાળમાં અનેક મોટા નિર્ણયો લેવાશે. હવે 2 એપ્રિલ 2025ને તેમણે 'લિબરેશન ડે ફોર અમેરિકન ટ્રેડ' જાહેર કરતા એક મોટો વેપારી નિર્ણય લીધો. તેમણે રેસિપ્રોકલ ટેક્સ લગાવવાની જાહેરાત કરી. આ જાહેરાત બાદ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પે આ નીતિને અમેરિકા ફર્સ્ટ અભિયાનનો મહત્વનો ભાગ ગણાવ્યો. અમેરિકા હવે ભારત પર 26% ટેક્સ લાદશે. તેનો શું પ્રભાવ જોવા મળશે તે પણ સમજવું જરૂરી છે.
આખરે આ રેસિપ્રોકલ ટેક્સ શું છે?
રેસિપ્રોકલ ટેક્સ એ એક વેપારી પોલીસી છે. જે હેઠળ કોઈ દેશ પોતાના ઉત્પાદનો પર લગાવવામાં આવેલા આયાત કર જેટલો ટેક્સ બીજા દેશના ઉત્પાદનો પર લગાવે છે. તેનો હેતુ વેપાર સંતુલન જાળવી રાખવાનો અને બિનજરૂરી સંરક્ષણવાદી નીતિઓને પ્રોત્સાહન ન આપવાનો છે. જેમ કે જો ભારત અમેરિકાની મોટરસાઈકલો પર 70% ટેક્સ લગાવે છે તો અમેરિકા હવે ભારતીય મોટરસાઈકલો ઉપર પણ સમાન કે પછી ભળતો ટેક્સ લગાવી શકે છે. ટ્રમ્પનો દાવો છે કે આ નીતિ અમેરિકી વેપાર નુકસાનને ઘટાડવા, ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને અન્ય દેસોને પોતાના વેપારી નિયમોમાં ફેરફાર કરવા માટે મજબૂર કરવામાં મદદ કરશે.
કયા ઉત્પાદનો પર સૌથી વધુ અસર
ટ્રમ્પે મુખ્ય રીતે એવા દેશોને ટાર્ગેટ કર્યા છે જે અમેરિકી ઉત્પાદનો પર વધુ ટેક્સ લગાવે છે. ભારત પર હવે 26% નો રેસિપ્રોકલ ટેક્સ લાગૂ થશે જે હાલના કર કરતા ઘણા વધુ છે. ભારતના રત્ન આભૂષણ, ફાર્માસ્યૂટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને મોટર વાહન ઉદ્યોગ પર તેનો સૌથી વધુ પ્રભાવ પડી શકે છે. અમેરિકાએ ભારત ઉપરાંત ચીન પર 34%, યુરોપીયન યુનિયન પર 20%, જાપાન પર 24% અને દક્ષિણ કોરિયા પર 25% જેવો ભારે ભરખમ ટેક્સ લાદ્યો છે.
ભારત વિશે શું કહ્યું ટ્રમ્પે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મુશ્કેલ વેપાર ભાગીદાર ગણાવ્યો અને કહ્યું કે અમેરિકા વર્ષોથી ભારતને લગભગ શૂન્ય ટેક્સ પર નિકાસ કરવાની મંજૂરી આપતું રહ્યું છે જ્યારે ભારત અમેરિકી ઉત્પાદનો પર વધુ ટેક્સ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત ખુબ જ મુશ્કેલ. પ્રધાનમંત્રી મારા સારા મિત્ર છે પરંતુ મે તેમને કહ્યું કે અમને યોગ્ય રીતે ટ્રિટ કરવામાં આવતા નથી. ટ્રમ્પના જણાવ્યાં મુજબ ભારત અમેરિકી ઉત્પાદનો પર 52% ટેક્સ લગાવે છે જ્યારે અમેરિકાએ અત્યાર સુધી ભારતીય ઉત્પાદનો પર ખુબ ઓછો ટેક્સ લગાવ્યો હતો. આ નવી પોલીસી હેઠળ હવે ભારતે પણ સમાન સ્તરના ટેક્સનો સામનો કરવો પડશે.
ભારત પર તેની શું અસર પડશે?
એક્સપર્ટનું કહેવું છે કે ભારત પર આ નિર્ણયનો મિક્સ પ્રભાવ પડી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક રિસર્ચના હવાલે જણાવ્યું છે કે ભારતે વાર્ષિક 7 બિલિયન ડોલર સુધીનું નુકસાન ભોગવવું પડી શકે છે. સૌથી વધુ અસર રાસાયણિક ઉત્પાદનો, ધાતુ ઉદ્યોગ, અને આભૂષણો પર પડશે. જ્યારે ઓટોમોબાઈલ, દવાઓ અને ખાદ્ય ઉત્પાદનો પણ પ્રભાવિત થઈ શકે છે. જો કે SBI Research અને Goldman Sachs જેવી સંસ્થાઓનું માનવું છે કે ભારત પર તેનો મર્યાદિત પ્રભાવ પડશે કારણ કે ભારત અમેરિકી વેપાર પર સંપૂર્ણ રીતે નિર્ભર નથી. આ ઉપરાંત ભારત નવા વેપારી ભાગીદારો શોધી રહ્યું છે અને ઘરેલુ ઉત્પાદનો વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
તો પછી નુકસાન વધુ કે ફાયદો?
જો કે આ ટેક્સના શરૂઆતી ઝટકા ભારત માટે નુકસાનકારક નીવડી શકે છે. પરંતુ લાંબા ગાળે ભારતને તેનો ફાયદો પણ થઈ શકે છે. 'મેક ઈન ઈન્ડિયા' અભિયાન હેઠળ ભારત પોતાની ઉત્પાદન ક્ષમતાઓ વધારી શકે છે અને અમેરિકી બજારની જગ્યાએ અન્ય દેશોમાં પોતાની ઉત્પાદનોની માંગણી વધારી શકે છે. આ સિવાય ભારતને ચીનનો એક સંભવિત વિકલ્પ માનવામાં આવી રહ્યો છે જેનાથી ભારતીય ઉદ્યોગોને અપ્રત્યાશિત તકો મળી શકે છે. બધુ મળીને આ નવી નીતિ ભારત માટે પડકારજનક છે પરંતુ જો રણનીતિક રીતે યોગ્ય પગલું ભરવામાં આવે તો તે નુકસાનને ઘટાડતા નવી તકો પણ પેદા કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે