Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતના મોં માં આવેલો કોળીયો છીનવ્યો છે, બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
બાગાયતી પાકને વ્યાપક નુકસાન
માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, તેમજ ભારે વરસાદ સાથે મોટા મોટા કરા પડ્યા હતા. જેના કારણે કેરી, લીંબુ, કેળ સહિતના બાગાયતી પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.
કેરીના પાકનો સોથ વળી ગયો
ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. કેરી, જમરૂખ, દાડમ, કેળ, પપૈયા, લીંબુ સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, તળાજા અને ઘોઘા તાલુકાને જોડતા 20 થી વધુ ગામોમાં બાગાયતી પાકમાં કેરી અને કેળનું ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. તળાજાના સોસીયા, મણાર, મીઠીવીરડી, લાખણકા, અલંગ, તેમજ ઘોઘા તાલુકાના હાથબ, ખડસલીયા, થળસર, તણસા, લાકડીયા સહિતના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આંબા અને કેળનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં સોસીયાની કેસર કેરી ભારત સહિત વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે, સારી સિઝન હોય ત્યારે સોસીયા કેસર કેરી 2000 થી 4000 પ્રતિ મણના ભાવે વેચાણ થતી હોય છે, જે આ વર્ષે પણ ખેડૂતોને સારું ઉત્પાદન અને ભાવ મળવાની આશા હતી, પરંતુ અચાનક તૂટી પડેલા માવઠાના કારણે ખેડૂતોના મોં માં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.
ગાંધીનગરના કાવાદાવા : અંબાલાલની આગાહી પર મંત્રીઓની નજર, કયા મંત્રીની ઓફિસની ચા ફેમસ?
કેળના સેંકડો વૃક્ષ પડી ગયા
હવામાન વિભાગની આગાહીના કારણે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે, જ્યારે ભારે પવનના કારણે સેંકડો કેળના વૃક્ષ તૂટી પડયા છે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંથકમાં આવેલા સોસીયા ની કેરી ખૂબ પ્રસિદ્ધ પામી છે, જેને દેશવિદેશ સુધી વેચાણ કરવામાં આવે છે, અને ખેડૂતોને સોસીયા ની કેસર કેરીના સારા ભાવ મળતા હોય ખેડૂતો મોટાપાયે વાવેતર કરી સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે, પરંતુ આ વર્ષે ખેડૂતોની આશાઓ પર માવઠાએ પાણી ફેરવી દીધું છે.
ખેતરમાં ચારેતરફ કેરી ખરી પડી
શરૂઆતમાં આંબામાં ભરપૂર મોર આવતા સારુ ઉત્પાદન મળે તેવી ખેડૂતોને આશા હતી, પરંતુ સતત બદલાઈ રહેલા ઠંડી, ગરમી અને ઝાકળભર્યા વાતાવરણના કારણે આંબામાં આવેલો મોર ખરી પડ્યો હતો, જેથી ઉત્પાદન ઘટવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી, ત્યાં ફરી માવઠાનો માર લાગતા ખેડૂતો પાયમાલ થયા છે, હવામાન વિભાગની આગાહી બાદ ભારે પવન અને કરા સાથે વરસી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો બાગાયતી પાક ખેતરોમાં ખરી પડ્યો હતો, જેમાં કેરીના પાકમાં માવઠાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખેતરોમાં આમથી તેમ જ્યાં જુઓ ત્યાં આંબા નીચે ખરી પડેલી કેસર કેરી નજરે પડી રહી છે. ખરી પડેલી કેરીના ભાવ નહીં મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કેરીનો ભાવ વધશે
કેરીના પાકને નુકશાન થતાં આ વર્ષે કેરીની આવક ઓછી થવા સાથે ભાવમાં પણ જબ્બર ઉછાળો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ ભારે પવન અને માવઠાના કારણે પાકમાં થયેલા વ્યાપક નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.
અમરેલીના ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનાવાયો, કમોસમી વરસાદે બધુ બરબાદ કર્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે