ઝી મીડિયા/બ્યૂરો :પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul Choksi) એ નેટફ્લિક્સ (Netflix) પર જલ્દી જ રિલીઝ થનારી એક વેબ સીરિઝ (Web Series) સામે વાંધો ઉઠાવ્યો છે. ચોક્સીએ પોતાના વકીલના માધ્યમથી દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. મેહુલ ચોક્સીએ કોર્ટને અપીલ કરી છે કે, આ વેબ સીરીઝને રિલીઝ થતી રોકવામાં આવે.
કોર્ટે નેટફ્લિક્સને પૂછ્યો સવાલ
દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ નેટફ્લિક્સને બુધવારે જણાવ્યું કે, બેડ બોય્ઝ બિલિયોનેર્સ (Bad Boys Billionaires) વેબ સીરિઝ તેની રિલીઝ પહેલા કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ઉપલબ્ધ કારવી શકે છે? ન્યાયમૂર્તિ નવીન ચાવલાએ નેટફ્લિક્સને મૌખિક રૂપે કહ્યું કે, તેઓ મેહુલ ચોક્સીને તેની પ્રી-સ્ક્રીનિંગ ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરે અને વિવાદ પર પૂર્ણવિરામ મૂકે. અદાલતે આ વિષયની આગામી સુનવણી 28 ઓગસ્ટના રોજ રાખી છે.
ગીતાંજલિ જેમ્સના પ્રમોટર ચોક્સી અને તેનો ભત્રીજો નીરવ મોદી 13500 કરોડ રૂપિયાથી વધુના પંજાબ નેશનલ બેંક (Punjab national bank) ના કૌભાંડના આરોપી છે. ચોક્સી ગત વર્ષે દેશ છોડીને ભાગી ગયો હતો. આ વેબ સીરિઝને 2 સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં રિલીઝ કરવામાં આવનાર છે. નેટફ્લિક્સ પર તેના વિશે કહેવામાં આવ્યું છે કે, આ એક એવી ડોક્યુમેન્ટરી છે, જે ભારતના સર્વાધિક કુખ્યાત ઉદ્યોગપતિઓની લાલચ, ફરેબ અને ભ્રષ્ટાચારને રજૂ કરે છે.
આ વેબસીરિઝમાં ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા (Vijay Mallya) , નીરવ મોદી (Nirav Modi) ની સાથે સાથે બી રાજુ રામલિંગ રાજુ (B Raju Ramaling Raju) ના વિવાદિત કિસ્સાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. અદાલતમાં ચોક્સીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિજય અગ્રવાલે આ વેબ સીરિઝની રિલીઝને ટાળવા માટે અપીલ કરી છે.
28 ઓગસ્ટના રોજ સુનવણી
વકીલે કોર્ટમાં કહ્યું કે, તેઓએ આ વેબસીરીઝનું ટ્રેલર જોયું અને સમગ્ર દુનિયામાંથી તેઓને આ વિશે ફોન આવી રહ્યાં છે. જેમાં એવુ પૂછવામાં આવી રહ્યું છે કે, શું તેઓ આ ડોક્યુમેન્ટરીનો ભાગ છે. સાથે જ તેમના પર ટિપ્પણી કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેના બાદ અરજી કરનારા મેહુલ ચોક્સીએ જાણ્યું કે, ટ્રેલરમાં પવન સી લાલ નામનો એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે. જેઓએ ‘ફ્લાવ્ડ, ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ ડાયમંડલ મોગુલ નીરવ મોદી’ પુસ્તક લખ્યું હતું. અગ્રવાલે કહ્યું કે, આ વેબ સીરીઝના રિલીઝ પર તેઓ પ્રતિબંધ નથી ઈચ્છતા. પરંતુ માત્ર એવી ઈચ્છા છે કે તેને રિલીઝ પહેલા બતાવવામાં આવે.
સુનવણી દરમિયાન નેટફ્લિક્સ ઈન્ક અને નેટફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ સર્વિસિસ ઈન્ડિયા એલએલપીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે જણાવ્યું કે, આ વેબ સીરીઝ નીરવ મોદી જેવા અનેક લોકો પર આધારિત છે અને તેમાં ચોક્સી પર માત્ર બે મિનિટ જ છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક (PNB) માં અંદાજે 13 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનારા મામા-ભત્રીજા મેહુલ ચોક્સી અને નીરવ મોદી જાન્યુઆરી 2018માં દેશમાંથી ફરાર થઈ ગયા હતા. નીરવ મોદીની 19 માર્ચના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ લંડનની અદાલતમાં તેના પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો છે. 29 માર્ચ, 2018ના રોજ વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એમ્મા અર્બથનોટે 48 વર્ષના નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. હાલ મોદીના કેસ પર લંડનમાં સુનવણી ચાલુ છે.
ગુજરાતના મહત્વના અન્ય સમાચાર :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે