અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાયદાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌ દાનનું પણ અનેરૂ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આજ પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જિનલના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પિતાએ આપી ગાયની ભેટ
લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરડું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષાલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવવિભોર થઈ ગયા હતા. તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું. આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે. મારી દીકરી અને જમાઈ અભય કુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌ માતાના દૂધ અને ઘીનું સેવન કરીને આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મે ગાયનું દાન કર્યું છે. તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે.
આ પિતાને ખરેખર સલામ! દીકરીનું કન્યાદાન તો કર્યું પણ સાથે સાથે શાસ્ત્રોક્ત વિધિ કરી ગૌ-દાન કર્યું.. મહેમાનો પણ ગદગદ થયાં#patidagujarat #patidar #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/2YIkzYFRvA
— Zee 24 Kalak (@Zee24Kalak) January 22, 2025
આ લગ્ન સમારંભમાં ઉપસ્થિત ગૌ સેવક હિતેશભાઈએ જણાવ્યું હતું અભયનો પરિવાર પણ ગૌસેવા સાથે જોડાયેલો છે. માટે આ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિ નું કામ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે