તેજશ મોદી/ સુરત: 2017માં સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જૈન શ્રાવિકા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદના ચકચારી કેસમાં જેલવાસ ભોગવતા દિગમ્બર જૈન મુનિ શાંતિસાગરજી વિરુધ્ધ પુરવણી ચાર્જશીટ તથા ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે આજથી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કેસમાં મેડિકલ ચેકઅપ કરનાર બે ડોકટરોની જુબાની લેવાય લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે કેસને લગતા નવા કાગળો રજુ કરવામાં આવતા હવે વધુ સુનાવણી કરવામાં આવશે. મહત્વનું છે કે, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા દિગમ્બર જૈન મુનિ શાંતિસાગરજી ઉર્ફે ગીરીરાજ સજનલાલ શર્મા વિરુધ્ધ વડોદરાની યુવતી એવી શ્રાવિકાએ ધાર્મિકવિધીના બહાને મુનિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં પણ પોલીસે 376 (2)ની કલમ લગાડી છે. માતાપિતાને અલગ રૂમમાં બેસાડી આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં જેલવાસ ભોગવી રહેલા જૈન મુનિએ ચાર્જશીટ અને પૂરવણી ચાર્જશીટ રજૂ થયા બાદ કરેલી જામીનમુક્તિની માંગને સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટે નકારી કાઢી હતી. જેથી મુની દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરાઇ હતી પણ તે અરજીને ગત ફેબુ્રઆરી-૨૦૧૯માં ડીસમીસ કરાઇ હતી.
જેથી જૈન મુનિ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ આજથી ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર ફરિયાદી શ્રાવિકા, પંચ સાક્ષીઓ, એફએસએલના તજજ્ઞો સહિત મેડિકલ સાક્ષીઓ મળીને અંદાજે 55 જેટલા સાક્ષીઓ છે. જે પૈકી આજે મુનિ અને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરનાર નવી સિવિલ હોસ્પિટલના બે ડોકટર એવા સાક્ષીઓની જુબાની લેવાની શરૂઆત થઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે