મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદનો એક વેપારી ફરી એક વખત વગર વ્યાજે લોન મેળવવાના ચક્કરમાં લૂંટાયો છે. અને આ વ્યાપારીને અજાણ્યા નંબરથી આવેલો ફોન દસ લાખ રૂપિયામાં પડ્યો. જેને લઇ હવે સોની વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. વેપારી રાજેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો ધંધો વ્યવસાય કરે છે. જોકે ધંધા માટે તેને પૈસાની જરૂરિયાત પડતા વ્યાજે રૂપિયા લેવાનું ઉચિત સમજ્યું હતું.
એક દિવસ રાજેન્દ્ર સોનીને લોન અપાવવાનું કહેતા ઉત્સાહમાં આવી ગયા હતા. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ બજાજ ફાઇનાન્સમાંથી બોલતા હોવાની આપી હતી. પરંતુ આ લોન મેળવવા વેપારી રાજેન્દ્ર સોનીને તેના કેટલાક ક્રાઈટેરિયા પ્રમાણે ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું. જેને લઈ વિશ્વાસમાં આવી વેપારીએ સામેથી આવેલા તમામ ફોર્મ ભરી આપ્યા હતા. જોકે ફોન કરનાર પહેલા તો પાંચ લાખની લોન આપવાનું કહ્યું હતું. પરંતુ રાજેન્દ્ર સોનીની તૈયારીને જોઇ દસ લાખ રૂપિયાની લોન કરાવી આપવાનું વિશ્વાસ અપાવ્યો હતો.
જોકે આ લોન મેળવવા તેમને રજીસ્ટ્રેશન ચાર્જીસ ભરવાના બહાને ઓનલાઈન બે જ મહિનામાં દસ લાખ પંદર હજાર રૂપિયા ભરાવ્યા હતા. બાદમાં ન તો કોઈ તેમની લોન પાસ થઈ ન તો કોઈ તેમના પૈસા પરત મળ્યા જેને લઇ વેપારીને તેની સાથે ઠગાઇ થઇ હોવાનું અહેસાસ થયો.
એટલું જ નહીં બજાજ ફાઇનાન્સના નામે વાત કરનાર વેપારી રાજેન્દ્ર સોનીને શંકા ન જાય તે માટે ઠગ ટોળકીએ બજાજ ફાઇનાન્સના સર્ટિફિકેટ પણ આપ્યાં. અને આ રૂપિયા જમા કરાવવા અલગથી બેન્ક ખાતું ખોલાવવા ફોર્મ પણ વોટ્સએપ મારફતે જ આપ્યું હતું.. જો કે છેતરપિંડીનો ભોગ બન્યા બાદ વેપારીએ આ અંગેની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અગાઉ પણ છેતરપિંડીના ભોગ બન્યા હોય તેવા કિસ્સા અમદાવાદમાં સામે આવ્યા છે. પરંતુ તેમ છતાં લાલચથી કેટલાક લોકો લૂંટાઇ રહયા છે. જાહેરાતના માધ્યમથી પણ અને બેંકો દ્વારા પણ અવેરનેસ માટે મેસેજ મોકલવામાં આવતા હોય છે. કે ક્યારે પણ કોઈ બેંક કે લોન આપનાર એજન્સીઓ પૈસા નથી ભરાવતી તેમ છતાં ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે પૈસા ભરી છેતરપિંડીનો ભોગ બને છે. રાજેન્દ્ર સોનીને પણ આમ જ વગર વ્યાજની લોન મેળવવાનો આવેલો કોલ 10 લાખ રૂપિયામાં પડયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે