હિતલ પારેખ/ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે ભાજપ દ્વારા સેવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરમાં સેવા સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોને ભેટ વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે કાર્યક્રમો થાય છે. દિવ્યાંગ બાળકોની સેવા પ્રધાનમંત્રીને ગમે છે. દિવ્યાંગ બાળકો સામાન્ય જીવન જીવી શકે તે માટે કામ સંસ્થા કરી રહી છે. 70 દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી છે. સપ્તાહમાં અનેક કાર્યક્રમો થશે. દર્દીઓની સેવા, રક્તદાન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો થશે.
રાજકોટ દર્દીઓ દાખલ થવા બાબતે પ્રતિક્રિયા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટના દર્દીઓ ને એડમિટ નહિ કરવાના અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની નિમણૂક વ્યવસ્થા બાબતે કરવામાં આવી છે. હોસ્પિટલ બાબતે જો કોઈ ફરિયાદ હોય તો અધિકારીઓને કરી શકાશે. આવી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઊંઝા સહકાર ગોટાળા બાબતે
ઊંઝામાં એશિયાની સૌથી મોટી એપીએમસીમાં કૌભાંડ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિગતવાર માહિતી નથી પરંતુ રાજ્ય સરકારનો સહકાર વિભાગ તપાસ કરી રહ્યો છે.
ગોધરાથી isi એજન્ટની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાબતે પ્રતિક્રિયા તેઓએ કહ્યું કે, હાલ સ્થિતિ શું છે તે સૌ કોઈ જાણે છે. દેશની સુરક્ષા માટે એજન્સીઓ કાર્યરત છે. ચીન સાથેના તણાવ વચ્ચે તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તમામ એજન્સીઓ દેશ વિરોધી તત્વો સામે નજર રાખી રહી છે અને જરૂર પડે ધરપકડ પણ કરી રહી છે. ચીન કે પાકિસ્તાનને મદદ કરતા હોય તેવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની એજન્સીને મદદ કરનાર વ્યક્તિની ધરપકડ આવકારદાયક છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી જાસૂસ પકડાયો, પાકિસ્તાનને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં ચોમાસું સત્ર મામલે ચર્ચા કરવામાં આવશે. શાળાઓ શરૂ કરવા બાબતે ચર્ચા ચાલી રહી છે. ભારત સરકાર અને સુપ્રિમની ગાઈડલાઈન કાળજી રાખવાની બધું સંકલન કરી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે. કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ ચીજવસ્તુની દેશમાં અછત ન સર્જાય, કાળા બજારી ન થાય તો નિકાસ પ્રતિબંધ મૂકાય છે. ડુંગળીના ભાવ આ નિકાસથી વ્યાજબી થશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર યોગ્ય નિર્ણય લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે