હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં શરૂ થનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ હોસ્પિટલ હેલીપેડ ગ્રાઉન્ડ પર બનવાની હતી, પરંતુ હવે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગરના સેક્ટર 17 ના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહીં કોટી સગવડ ન હોવાને કારણે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. ડીઆરડીઓ દ્વારા મહાત્મા મંદિરનું નિરીક્ષણ કરીને કામગીરીનો પ્રારંભ કરાશે. મહાત્મા મંદિરમાં બનનાર કોવિડ હોસ્પિટલોમાં 600 આઈસીયુ (icu) બેડ પણ હશે. આગામી દસથી બાર દિવસમાં હોસ્પિટલના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરમા 1200 બેડની કોવિડ હોસ્પિટલની જાહેરાત કરી હતી. ગાંધીનગર હેલીપેડની બાજુમાં ટાટા ટ્રસ્ટના અને DRDOના સહયોગથી 1200 બેડની કોવીડ હોસ્પિટલ બનાવવામાં આવનાર હતી. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ દ્રારા ઉઠાવવામાં આવશે. 1200 માંથી 600 બેડમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ હશે. કોવિડ હૉસ્પિટલ માટે પસંદ કરાયેલ 17 માંથી ત્રણ ડોમની સફાઇ પણ શરૂ કરવામાં આવી હતી. આ માટે ડીઆરડીઓના ઓફિસરોએ પણ 1200 બેડની હોસ્પિટલ માટે 17 હેલિપેડની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ શરૂ કરવા રાજ્ય સરકારના ઓર્ડરની રાહ જોવાઈ રહી હતી. પરંતુ ત્યાર બાદ હોસ્પિટલનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે