Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
રખે ન માનતા કે બચુભાઇ બચી ગયા
ગુજરાતના રાજકારણમાં અત્યારે પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડ જ તેમના પુત્રોના કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. મનરેગા કૌભાંડમાં બચુભાઇ ખાબડના પુત્રોના નામ ખાસ સમય પહેલા જ આવ્યા હતા. પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પણ સરકાર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતું ન હતું. પણ એકાએક તેમના મોટા પુત્રની પોલીસ ધરપકડ કરી. જે દિવસે બચુભાઇ ખાબડના પુત્રની ધરપકડ કરી તે જ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ હતા. ગુજરાતમા અમિત શાહ હાજર હોય અને તે જ દિવસે મંત્રી પુત્રની ધરપકડ થાય એટલે સ્પષ્ટ સંકેત મળ્યો કે હવે બચુભાઇ પોતાના સંતાનને બચાવી શકશે નહીં. થોડા દિવસ બાદ ભાગતા ફરતા બીજા પુત્રની પણ ધરપકડ થઈ. હવે બચુભાઇ ખાબડ માટે એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જ બચવાની આશા હતી. પણ તે આશા ઠગારી નીવડી. પ્રધાનમંત્રીએ બે દિવસની ગુજરાત મુલાકાત પરથી સ્પષ્ટ સંકેત આપ્યો કે હવે બચુભાઇ બચશે નહીં. દાહોદના પ્રધાનમંત્રીના કાર્યક્રમમાંથી બચુભાઈને સંપુર્ણ દુર રખાયા. દાહોદના મંત્રી હોવા છતાં સભામાં સ્ટેજ તો દૂરની વાત છે, પણ પ્રજામાં પણ બચુભાઇ ખાબડને હાજર ન રહેવાની સુચનાથી કદાચ બચુભાઇ ખાબડ સમજી ગયા હશે કે હવે કોઈ બચાવી નહીં શકે. પ્રધાનમંત્રીની મુલાકાત બાદ મંત્રીમંડળના મિત્રો અને ભાજપના હોદ્દેદારોએ પણ બચુભાઇ ખાબડથી અંતર બનાવી લીધું છે. બસ હવે મંત્રીમંડળમાંથી રાજીનામું કે પછી મંત્રીમંડળમાં ફેરફાર બચુભાઇ ખાબડની રાજકીય કારકિર્દીથી માટે અલ્પવિરામ બનશે. જોકે, સત્ય એ છે કે, રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ નથી આવતો.
ન બોલાય અને ન સેહવાય તેવી સ્થિતિ કેટલાક મંત્રીઓની થઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાતમાં ગુજરાતમાંથી સૌથી વધુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી છવાઈ ગયા. વડોદરાનો રોડ શો હોય કે અમદાવાદ કે પછી ગાંધીનગરનો રોડ શો બધી જ જગ્યાએ ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયા. વડોદરાની એરપોર્ટ ઉપરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રીની એક તસવીર ખૂબ ચર્ચા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. હવે આ સ્થિતિને કારણે મંત્રીમંડળના જ કેટલાક સભ્યોની સ્થિતિ ન કહેવાય અને ન સહેવાય તેવી બની. મીડિયામાં હર્ષ સંઘવી છવાયા એટલે કેટલાક મંત્રીના પેટમાં તેલ પણ રેડાયું. જાહેરમાં કશું બોલી પણ ન શકે તેવી સ્થિતિને કારણે કેટલાક મંત્રીઓએ ધીમા અવાજે ઝીરો અવર્સની વાતો ચાલુ કરી.
ગૃહ રાજ્યમંત્રી ખૂબ મહત્વકાંક્ષી છે. તો કેટલાકે ધીમે ચાલવું જોઈએ તેવી ટકોર પણ કરી. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત માટે ગૃહરાજ્યમંત્રી દ્વારા ચારથી પાંચ દિવસમાં જ 46 થી વધુ બેઠકો અને રાતના ઉજાગરા પણ કર્યા. હર્ષ સંઘવીની ખાસિયત છે કે તેઓ બીજા મંત્રી જેમાં આપત્તિ જોતા હોય છે તેને અવસર માનીને ચાલે છે. પ્રધાનમંત્રીના બે દિવસના કાર્યક્રમમાં બીજા બધા મંત્રીઓએ પોતાનાથી ભૂલ ન થાય તે માટે મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ બખૂબીથી પોતાની ભૂમિકા ભજવી.
મુખ્યમંત્રી કાર્યાલયમાં ખેંચતાણ કે પછી અધિકારી માટે અણગમો?
મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમય બાદ આઈએએસ અધિકારીઓની ત્રણેય જગ્યાઓ ભરવામાં આવી. વિક્રાંત પાંડેને સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી. આ નિમણૂંકને એક સપ્તાહ જેટલો સમય થયો. જોકે એક સપ્તાહ સુધી સીધી રીતે તેમની પાસે કામ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા આઈએએસ અધિકારીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવતી હોય છે. આ ખાતાની ફાળવણીના આધારે જ અધિકારીઓ કામ કરતા હોય છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી, અગ્ર સચિવ અને અધિક મુખ્ય સચિવ વચ્ચે તમામ ખાતાઓની ફાળવણી થતી હોય છે. મુખ્યમંત્રી પાસે જે તે વિભાગની ફાઈલ પહોંચતા પહેલા આ અધિકારીઓ પાસે આ ફાઇલ જતી હોય છે. મુખ્યમંત્રી આ અધિકારીઓનું જરૂરી માર્ગદર્શન અને અનુભવનો લાભ લેતા હોય છે.
અત્યારે અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ ઔલખ અને છેલ્લે મુકાયેલા વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે કામ કરે છે. જોકે હજુ સુધી ખાતાની ફાળવણી ન થતા તમામ ખાતાની કામગીરી એમ. કે. દાસ અને અવંતિકા સિંહ ઔલખ જ સંભાળી રહ્યા છે. આ અધિકારીઓમાં ખાતાની ફાળવણી હજુ કેમ ન કરવામાં આવી તે પ્રશ્ન સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક સિનિયર અધિકારીઓ ખાતાની ફાળવણીમાં આંતરિક ખેંચતાણ હોવાની વાત કરી રહ્યા છે. જોકે કેટલાક અધિકારી વિક્રાંત પાંડેને સચિવાલયનો પૂરતો અનુભવ ન હોવાનું કારણ આગળ ધરી રહ્યાં છે. તો કેટલાક શનિવારે ખાતાની ફાળવણી કરી ઔપચારિકતા બાકી હોવાની વાત કરે છે. વાત જે હોય તે પણ ખાતાની ફાળવણીમાં મુખ્યમંત્રી કાર્યાલય અને સિનિયર આઈએએસ અધિકારીઓને ખૂબ રસ પડ્યો છે. કદાચ આ સિનિયર અધિકારીઓ કોને કયા ખાતાની ફાળવણી થાય છે તેના ઉપરથી અધિકારીને નિમણૂંકનો ઉદ્દેશ જાણવાનો પ્રયત્ન કરતા હશે.
એક મંત્રીએ પોતાના નામનો લોગો બનાવ્યો
સામાન્ય રીતે કોઈ મલ્ટીનેશનલ કંપની કે ધંધાદારી પેઢી આકર્ષક લોગો બનાવીને માર્કેટિંગ કરતી હોય છે. જોકે ગુજરાત સરકારના એક મંત્રીએ પણ પોતાનો આગવો લોગો બનાવ્યો છે. પોતાના નામ અને સરનેમનો પહેલા અક્ષરનો ઉપયોગ કરીને આ લોગો તૈયાર કરાયો છે. અત્યાર સુધીના ભાજપ સરકારના મંત્રીમંડળમાં આ પ્રકારનો લોગો બનાવનાર પહેલા મંત્રી હશે. જોકે આ લોગો સચિવાલયમાં ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. કાનાફૂસી થઈ રહી છે કે, કોઈ સારા જ્યોતિષની સલાહ પ્રમાણે મંત્રી ચાલ્યા હોઈ શકે છે. આ લોગો બનાવ્યા બાદ મંત્રી પણ સિંઘમની ભૂમિકામાં આવ્યા. પોતાના વિભાગ અંતર્ગત આવતી કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી. હાજર અધિકારીઓને તેમની કામગીરી સંદર્ભે માર્ગદર્શન પણ આપ્યું. આ મંત્રીના નજીકના લોકો પણ માની રહ્યા છે કે હવે સાહેબને પ્રમોશન કે સંગઠનમાં મહત્વનું સ્થાન મળશે.
અમરેલીનું રાજકારણ એટલે કહી પે નિગાહે કહી પે નિશાના
અમરેલી ભાજપના આંતરિક રાજકારણ ફરી ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ આકરા પાણીએ આવીને દારૂના ધંધાના હપ્તા મામલે પોલીસવડા રેન્જ આઇ.જી સુધીનાને સીધા નિશાન પર લીધા છે. તેમના સમર્થનમાં અમરેલીના બીજા વરિષ્ઠ નેતાઓ પણ સામે આવ્યા છે. આ અગાઉ પણ લેટરકાંડમાં પાટીદાર યુવતીનો વરઘોડો કાઢવાની મેટરમાં અમરેલીના વરિષ્ઠ ભાજપના નેતાઓ મેદાનમાં આવ્યા હતા. માંડ આ મેટર શાંત પડી ને હવે ફરી પાછું અમરેલીનું રાજકારણ ગરમાયું છે.
સચિવાલયમાં પણ અમરેલીનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમરેલી ભાજપના જાણકાર નેતાઓનું માનીએ તો લેટર કાંડ અને દારૂના હપ્તાથી ભાજપ કાર્યાલય નથી ચાલતું. આ બંને મેટર સ્થાનિક રાજકારણનો ભાગ એક અને ભાગ બે છે. બંને વિવાદમાં પોલીસના પર નિશાન સાધવામાં આવ્યું છે. જોકે ભલે પોલીસ ઉપર નિશાન સાધવામાં આવ્યું, પણ નજર અમરેલીના વર્તમાન ધારાસભ્ય પર છે. અમરેલીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ એક તરફ અને નવી પેઢી જે અત્યારે ધારાસભ્યો છે તેમની સીધી રાજકીય લડાઈ હોવાની ચર્ચા છે. વરિષ્ઠ નેતાઓનો અમરેલી ઉપર કંટ્રોલ ચાલુ રાખવો છે. જ્યારે નવી પેઢી પોતાનો અલગ ચોકો ઊભી કરી રહી છે. અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થાનિક રાજકારણની આડમાં પ્રદેશના નેતાઓને સીધો જ પડકાર ફેંકી રહ્યાં હોવાની પણ ચર્ચા છે.
મુખ્ય સચિવ કરતા મોંઘી ગાડી લઈને ફરતા આઈએએસ અધિકારીએ ગાડીનો મોહ છોડવો પડ્યો
રાજ્ય સરકારમાં મંત્રી કે અધિકારીને સરકારી ગાડી ફાળવવાના નિયમો હોય છે. જોકે દિલ્હી ડેપ્યુટેશનથી પરત આવેલા એક આઈએએસ અધિકારીએ મુખ્ય સચિવ કરતા પણ મોંઘી ઓટોમેટીક ગાડી વાપરવાનું ચાલુ કર્યું. કેબિનેટ બેઠકમાં આવે એટલે ગાડીના દરવાજા ઓટોમેટિક ખુલે. પણ અધિકારીનો આ ભપકો લાંબો ન ચાલ્યો. સચિવાલયમાં આ અધિકારીની સમકક્ષ કામ કરતા આઈએએસ અધિકારીઓના ધ્યાનમાં આવતા ઉપર સુધી ફરિયાદ કરી. જેનું પરિણામ એ આવ્યું કે અધિકારીએ ઓટોમેટીક ગાડી છોડી મેન્યુઅલ ગાડીમાં આવી જવું પડ્યું. આ અધિકારીના જ વિભાગના મંત્રીએ કટાક્ષમાં પણ કહ્યું કે, વર્લ્ડ બેન્કમાંથી ભલે ગાડી આવી હોય પણ તેઓ ગુજરાત પરત આવ્યા છે એટલે બાકીના સેક્રેટરીની જેમ જ રહેવું પડે. હવે આ અધિકારી ઈનોવા ગાડીમાં ફરતા નજરે પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે