Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
સામેથી કીધું કે, મારે રાજીનામું ક્યારે આપવાનું છે?
આ વાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છે. સ્વ. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે અનેક રાજકીય ખેલ થયા હતા. છેક સુધી મુખ્યમંત્રી નrતિન પટેલ બને છે તેવી વાતો વહેતી થઈ. નીતિન પટેલે મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપી દીધા. જો કે અગાઉ જે સ્ક્રિપ્ટ લખાઈ હતી તે અંતર્ગત આંતરિક વિરોધ વચ્ચે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. તેમના શાસનમાં પણ વિવાદોનો કુનેહપૂર્વક ઉકેલ લાવ્યા. જો કે મુખ્યમંત્રીના નિવાસ્થાને એકાએક એક ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી વી.સતીષ આવ્યા અને વિજય રૂપાણી પામી ગયા કે હવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વી. સતીષ કશું કહે તે પહેલાં વિજય રૂપાણીએ સામેથી કહી દીધું કે, બોલો મારે ક્યારે રાજીનામું આપવાનું છે? આ સાંભળીને વી.સતીષ પણ મૂંઝવણ મૂકાયા હતા. વી.સતીષે પણ પૂછ્યું કે, તમને કેવી રીતે ખબર કે તમારે રાજીનામું આપવાનો સંદેશ લઈને જ હું આવ્યો છું. ત્યારે વિજય રૂપાણીએ જવાબ આપ્યો કે, સંગઠન મહામંત્રી મને મળવા ખાલી આવે નહીં. તમારે મૂંઝવણ રાખવાની જરૂર નથી. અહીં સુધી ન આવ્યા હોત તો પણ ચાલત. માત્ર ફોન કરી દીધો હોત પણ પાર્ટીનો આદેશ માથે ચઢાવી રાજીનામું આપી દેત. આટલી સહેલાઈથી સત્તા છોડી. ગુજરાતના રાજકારણમાં અનેક મુખ્યમંત્રીના રાજીનામા જોયા છે. ભાજપ હોય કે કોંગ્રેસના શાસનમાં સત્તા છોડવા કે છોડાવવા માટે અનેક રાજકીય ખેલ જોયા છે. પણ વિજય રૂપાણી જીવ્યા ત્યાં સુધી પાર્ટી લાઈનની વફાદારી તેમનું જમાપાસું રહ્યું. ભગવાન વિજય રૂપાણીની આત્માને શાંતિ અર્પે.
એક IPS ને કહી દેવામાં આવ્યું કે તમારા કામથી કામ રાખો, તમારો ભૂતકાળ અમે જાણીએ છીએ...
પોલીસ તંત્રમાં IPS અધિકારીઓની આંતરિક લડાઈથી પોલીસ તંત્ર અને સરકારની છબી બગડી છે. સીઆઈડી ક્રાઈમના વિવાદે ભારે બદનામી પોલીસ તંત્રને આપી. આંતરિક લડાઈ મીડીયા સુધી પહોંચી. આઈપીએસ અધિકારીઓ એકબીજાને પાડવાના કેવા ખેલ કરે તે સૌએ જોયું. પણ આ ઘટનાની ગંભીરતા સરકારે લીધી. આ ઘટનામાં જોડાયેલા તમામ અધિકારીઓને વન ટુ વન બોલાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરીસો બતાવી દીધો. આ મહિનાના અંતે નિવૃત્ત થતાં પોલીસ વડા વિકાસ સહાયે મહામહેનતે ઉભી કરેલી ઈમેજને ઠેસ પહોંચી હોવાની ચર્ચા આઈપીએસ બેડામાં થઈ રહી છે.
જોકે જે IPS અધિકારીએ આ ઘટનામાં ઉચ્ચ અધિકારીનો ખભા તરીકે સફળતાપૂર્વક ઉપયોગ કર્યો, તે અધિકારીથી ગૃહ વિભાગ ખુબ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગૃહ વિભાગ દ્વારા આ અધિકારીને પોતાના કામથી કામ રાખવાની સલાહ આપી દેવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન નુકસાનકારક સાબિત થશે તેવી ચીમકી પણ આ આઈપીએસને આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ આઈપીએસ અધિકારીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો. જોકે આ તમામે ખેલ કરનાર IPS અધિકારીને તેમનો ભુતકાળ યાદ અપાવી આઈનો બતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
કોણ છે મંત્રીઓમાં જોડી નંબર ૧
સામાન્ય રીતે મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ રહેતી હોય છે. એકબીજાને બદનામ કે નીચું દેખાડવાના પ્રયત્ન પણ થતા હોય છે. જોકે આજે આપણે મંત્રીઓમાં જોડી નંબર 1 ની વાત કરવી છે. મંત્રીમંડળમાં એકબીજા સાથે સારા સંબંધો હોય અને પૂરતો વિશ્વાસ હોય તેવી ખૂબ ઓછી જોડી છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની જોડી છે. પણ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની જોડી આ અઠવાડિયા દરમિયાન નંબર વન પર રહી છે. પ્લેન દુર્ઘટનામાં આ જોડીએ સાથે રહી પ્રશંસનીય કામગીરી કરી. એકબીજા સાથે બોડી લેંગ્વેજથી માંડીને વિચારીક રીતે પણ જોડી બનાવી છે. પ્લેન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ અને તેની સંલગ્ન કામગીરીમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ રાત દિવસ એક કરીને કામગીરી કરી. બંને મંત્રીઓ સાથે ને સાથે જ જોવા મળ્યા.
આમ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારીમાં પણ બંને મંત્રીઓ સાથે છે. જે દિવસે પ્લેન દુર્ઘટના બની તે જ દિવસે બંને મંત્રીઓ કડીના ચૂંટણી પ્રચારને ટૂંકાવી પરત ફર્યા. મુખ્યમંત્રીએ જે જવાબદારી સોંપી તે જવાબદારી બેખૂબી નિભાવી. મૃતકના પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તેની વ્યવસ્થા હોય કે ડીએનએ મેચ થાય અને તરત પરિવારજનોને મૃતદેહો સોંપવાની કામગીરી હોય આ તમામમાં આ જોડી નંબર વન સાબિત થઈ. ચોક્કસ સિવિલ હોસ્પિટલમાં આ જોડી સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ ખડેપગે રહ્યા હતા. ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડી અગાઉ સાથે બદનામ થઈ હતી. વડોદરા કેસમાં કે ગાંધીનગરમાં સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આ જોડીને બદનામીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે બદનામી નહીં પણ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડીએ પોતાની કામગીરીથી મુખ્યમંત્રીને ખુશ કર્યા. એકબીજા સાથે મેળ આવે છે કે, જરૂરી સમયે એકબીજાનું માર્ગદર્શન પણ લઈ લે છે એ રાજકીય હોય કે સામાજિક હોય.
મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને અરીસો બતાવ્યો
શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવ સંદર્ભે મુખ્યમંત્રાની અધ્યક્ષ સ્થાને બેઠક રાખવામાં આવી. શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગને એવું હતું કે, શિક્ષણ વિભાગ કેવી રીતે પ્રવેશોત્સવ કરશે તે બતાવીને વાહ-વાહી લૂંટી લઈશું. કારણ કે આ બેઠકમાં તમામ મંત્રીઓ તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. પ્રતિ વર્ષે આયોજન સંદર્ભે આ પ્રકારની બેઠક થતી હોય છે. જોકે આ વખતે મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગનો જ વારો પાડી નાંખ્યો. શિક્ષણ વિભાગને મુખ્યમંત્રીએ અરીસો બતાવ્યો. શિક્ષણ વિભાગમાં કંઈ ને કંઈ ચાલતું જ રહે છે. ટેટ અને ટાટમાંથી વિભાગ બહાર આવતો જ નથી. હસતા હસતા મુખ્યમંત્રીએ ટકોર કરતા શિક્ષણ મંત્રીઓના ચેહરા જોવા જેવા થયા હતા. કેટલાક અધિકારીઓ છેલ્લા 25 વર્ષથી શાળા પ્રવેશોત્સવમાં ભાગ લે છે, તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો. આટલા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ હજુ શિક્ષણ વિભાગમાં ફરિયાદો મળે એ ખોટું કહેવાય એ પ્રકારનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે