ઝી ન્યૂઝ/અમદાવાદ: શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા "વિરાંજલી કાર્યક્રમ" યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબહેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગીશભાઈ વિશ્વકર્મા, સર્વે ધારાસભ્યઓ, મેયર કિરીટ પરમાર તેમજ ભાજપના સર્વે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના ખાતે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે યુવાનોમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે અને આવા વિરાંજલિ કાર્યક્રમો એ જ્યોત પ્રજવલિત કરવાના પ્રેરણાસ્ત્રોત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે શહીદ દિન નિમિત્તે આયોજિત આ વિરાંજલી કાર્યક્રમ માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો અવસર છે. આપણે સૌ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આ આઝાદીનું વટવૃક્ષ સિંચવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સપૂતોના સ્મરણ સાથે એમની શહાદત એળે ન જાય તે માટે દેશ માટે કર્તવ્યરત થવા આ વિરાંજલી કાર્યક્રમ આપણને પ્રેરણા આપી રહ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ તો દેશ પ્રેમના નામ પર એક જ પરિવારના ગુણગાન ગવાતા હતા. દેશ માટે બલિદાન આપનારા અનેક શૂરવીરોનાં નામ ઈતિહાસમાંથી ભૂંસી દેવાના ષડયંત્રો પણ રચાયા હતા પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનુ સુકાન સંભાળતાં જ ભૂલાયેલા વીર શહીદોને યોગ્ય સન્માન આપવા વીરાંજલિ કાર્યક્રમો ઉપાડયા છે, જેનું ઉદાહરણ આજે આપણી સામે છે.
છેલ્લાં બાર વર્ષથી ભાજપે આ રીતે શહીદવીરોને વીરાંજલિ આપવાની પ્રણાલી શરૂ કરી છે. એ શહીદોને યાદ કરી તેમને યોગ્ય સન્માન અને અંજલિ આપવાના પ્રયાસ છે. ભગતસિંહ- સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેય યુવા અને તેજસ્વી હતા.તેમની મહત્વકાંક્ષાઓ સામાન્ય યુવાનોની જેમ અંગત મોજશોખની ન હતી પણ ભારત માતાને આઝાદ જોવાની તેમની તમન્ના હતી અને તેમની કુરબાનીના પરિણામે જ આજે આપણે આઝાદીની આબોહવામાં જીવી શકીએ છીએ.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબહેન આચાર્યએ જણાવ્યું કે, 23 માર્ચે શહિદ દિન ઉજવીએ છીએ તેનું ખુબ જ મહત્વ છે. આવા કર્યકમત થકી આપણે યુવાનોમાં શહિદ થયેલા વીરોની ગાથાને તાજી કરાવી શકીએ છીએ. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહિદનું નામ હંમેશા અમર થઈ જાય છે.
વિરાંજલી સમિતિના અધ્યક્ષ પ્રદીપ વાધેલાએ જણાવ્યું હતું કે, વીર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ વિરાંજલી કાર્યકમ છે. આ કાર્યક્રમનું આયોજન અમે વર્ષ 2008થી કરતા આવ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે