ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) નું બ્યુગલ વાગી ચૂક્યું છે. 21 ફેબ્રુઆરીએ ગુજરાત (Gujarat) ની 6 મહાનગર પાલિકાઓનું મતદાન થશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો પાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતોનું મતદાન 28 ફેબ્રુઆરીએ થશે અને બીજી માર્ચે મત ગણતરી હાથ ધરાશે. એટલે કે ફેબ્રુઆરી મહિનો ચૂંટણીનો મહિનો બની રહેશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) માટે આજથી ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક આગેવાનો અને ટિકિટ વાંચ્છુકોને નિરીક્ષકોએ મળવાનું શરૂ કર્યું છે. મહનગરપાલિકા વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં શહેરી વિસ્તારોમાં ટિકિટની દાવેદારી માટે પ્રદેશ ભાજપે નિયમો બનાવ્યા છે, જે મુજબ પસંદગી કરાશે.
દાવેદાર સોશિયલ મીડિયા પર કેટલો એક્ટિવ તે ચેક કરાશે
આજે અમદાવાદ મનપાની ચૂંટણી માટે પણ સેન્સ લેવાઈ રહી છે. જેમાં ટિકિટ વાંચ્છુકો માટે ભાજપે (BJP) નિયમો બનાવ્યા છે. આ સેન્સમાં સ્થાનિક અને જૂના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. વર્ષ 2018માં સમર્પણ નિધિમાં કરેલા સહયોગની પણ વિગતો આપવાની રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો આપવાની રહેશે. પોતાના બૂથમાં પેજ પ્રમુખો અને પેજસમિતિઓનું કામ કેટલું પૂર્ણ કર્યું તે પણ જણાવવાનું રહેશે. દાવેદારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધતા કેટલી છે તેની પણ વિગતો મંગવાઈ છે.
સુરત પાલિકામાં દાવેદારી માટે 2700 ફોર્મનું વિતરણ
સુરતના 30 વોર્ડ માટે BJP એ નિરીક્ષકોની ટીમને દાવેદારોને સાંભળવા (local election) મોકલી છે. નવા વોર્ડ સીમાંકનમાં ત્રણ બેઠક અનુસૂચિત જાતિ માટે, ચાર બેઠક અનુસૂચિત આદિજાતિ માટે તથા 12 બેઠક પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત છે, જ્યારે 50 ટકા મહિલા અનામત સાથે 120 પૈકી 69 બેઠક અનામત રાખવામાં આવી છે. ભાજપની ટિકિટ પરથી લડવા માંગતા દાવેદારોને આજથી સાંભળવાનું શરૂ કર્યું છે. પ્રદેશ નિરીક્ષકોની સાત ટીમ 24મી અને 25મી દરમિયાન તમામ 30 વોર્ડના દાવેદારોને સાંભળશે. પૂર્વ મંત્રીથી લઈ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અલગ અલગ વોર્ડ પ્રમાણે દાવેદારોને સાંભળશે. અત્યાર સુધીમાં સુરતના ભાજપ કાર્યાલય પરથી કુલ 2700 ફોર્મ વિતરીત કરી દેવામાં આવ્યા છે અને દરેક ઝોન પર 100 ફોર્મ આપવામાં આવ્યા છે. ત્યારે ભાજપ શહેર પ્રમુખે તમામ 120 બેઠકો પર જીતનો દાવો કર્યો છે.
જામનગર પાલિકામા 4 બેઠકો પર સૌથી વધુ દાવેદારી
જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી (local election) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપના નિરીક્ષકો ત્રણ ટીમમાં દાવેદારોને સાંભળશે. મહાનગરપાલિકાની 64 બેઠકો માટે 500થી વધુ દાવેદારો છે. વોર્ડ નંબર 16ની ચાર બેઠકો માટે 60થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લા ભાજપ કાર્યાલય, શહેર ભાજપ કાર્યાલય અને કુંવરબાઈની શાળામાં સેન્સ લેવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. કોરોનાકાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. કુલ 2 તબક્કામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 21મી ફેબ્રુઆરીના દિવસે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનનો કાર્યક્રમ યોજાશે. 28મી ફેબ્રુઆરીએ નગર પાલિકાઓ અને પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે. 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે કે, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે