અમદાવાદ, વડોદરાઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા માટે ઉમેદવારી ભરવાની મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોની જાહેરાત બાદ ઘણા નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીમાં ખુલીને નારાજગી સામે આવી છે. ભાજપે કેટલાક નારાજોને મનાવી લીધા છે પરંતુ વડોદરામાં ભાજપને ધારી સફળતા મળી નથી. અહીં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.
નારાજ નેતાઓનું લિસ્ટ લાંબુ છે..
ભાજપ અને કોંગ્રેસમાં રિસાયેલા નેતાઓની યાદી લાંબી છે. ભાજપ અને કોંગ્રેસમાંથી અસંખ્ય ધારાસભ્યો અને દાવેદારોની ટિકિટ કપાઈ. ક્યાંક નેતાઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી તો ક્યાંક કોઈએ બળવો કર્યો. ચૂંટણી લડવા માટે ઈચ્છુક અનેક નેતાઓએ પક્ષમાંથી મેન્ડેટ ન મળતાં અપક્ષ ઉમદેવારી નોંધાવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં PM મોદીની 8 રેલી, ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન
વડોદરામાં બે સીટ પર નારાજગી યથાવત
વડોદરાની પાદરા બેઠક પર દિનેશ પટેલ ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થયેલા દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અરવલ્લીની બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને ભાજપે મેન્ડેટ ન આપતાં પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિપ્રદર્શન કરીને ધવલસિંહ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો મધુ શ્રીવાસ્તવે પણ આજે વડોદરાની વાઘોડિયા સીટ પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે.
સીઆર પાટિલે આપી ચેતવણી
ભાજપે ટિકિટોની જાહેરાત બાદ નારાજ થયેલા કેટલાક નેતાઓને મનાવી લીધા છે. પરંતુ ખાસ કરીને બાહુબલી તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપને સફળતા મળી નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને આ અંગે સવાલ પૂછતા તેમણે કાર્યવાહીને ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પક્ષ વિરોધી કામ કરશે તેમના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું તે રહેશે કે મધુ શ્રીવાસ્તર ફોર્મ પાછુ ખેંચે છે કે પછી ભાજપ તેમના પર કોઈ કાર્યવાહી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે