Gandhinagar News : સાહેબ સતત મીટિંગમાં છે એવું અરજદારોને હવે સાંભળવા નહીં મળે. જી હા,,, સરકારી કચેરીઓમાં પોતાનું કામ લઈને જતા અરજદારોને હવે એક કલાકથી વધારે રાહ નહીં જોવી પડે. કેમ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે.
હવે મીટિંગ માટે 1 કલાકથી વધારે સમય નહીં વેડફી શકાય. મીટિંગ શરૂ થવાની હોય એની 5 મિનિટ પહેલાં જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે. બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.
ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારને વહીવટમાં ઝડપ લાવવા માટે જે ભલામણો કરી હતી તેમાં વહેલી કચેરીઓ શરૂ કરવા ઉપરાંત એક મુદ્દો આ પણ હતો. જે બાદ હવે વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે કલાકો સુધી અને ક્યારેક ક્યારેક તો આખો દિવસ માત્ર મીટિંગો જ ચાલતી હોવાથી અરજદારોનાં કામ અટકી જતાં હતાં. વિવિધ વિભાગોમાં ફાઈલોના ઢગલા થઈ જતા હતા. આ પ્રકારના વિલંબને ટાળવા માટે માત્ર એક કલાકમાં જ મીટિંગને સમેટી લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.
એટલે હવે અરજદારોને એક કલાકથી વધારે સમય સુધી એવું સાંભળવા નહીં મળે કે સાહેબ મીટિંગમાં છે. કેમ કે, મીટિંગનો સમય જ એક કલાક નક્કી કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે મીટિંગો લાંબી ચાલતી હોવાથી નાસ્તા-પાણી પાછળ પણ ખૂબ મોટો ખર્ચ થતો હતો. છેલ્લાં 3 વર્ષમાં સવા બે કરોડ રૂપિયા માત્ર મીટિંગો પાછળ અને મુલાકાતીઓના નાસ્તા પાછળ ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે