અમદાવાદ :અમદાવાદના કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ મોતની રાઈડ બનીને તેમાં બેસનારા લોકો સામે આવી હતી. કાંકરિયાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, મોજમજા માણવા આવેલા લોકોને ડર લાગ્યો હતો. અમદાવાદ કાંકરિયા બાલવાટિકા નજીક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ્સ ધડાકાભેર તૂટી પડી હતી, અને તેમાં 3 લોકોના મોત થયા છે. તો 29થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનાની સામે આવેલી તસવીરો અને વીડિયો બહુ જ ભયાનક હતા. સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વીડિયો ફરતા થતા ત્યારે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
6 જુલાઈએ સેફ્ટી રિપોર્ટ આવ્યો હતો
જે રાઈડ ગઈકાલે તૂટી પડી હતી, તેના 6 જુલાઈએ જ સેફ્ટી રિપોર્ટ લેવાયા હતા, જેમાં રાઈટના નટબોલ્ટ બદલવા અંગે તથા અન્ય ત્રણ બાબતોની તપાસ અંગે પણ રિપોર્ટમાં સૂચના આપવામાં આવી હતી. પણ, સવાલ એ છે કે, શું આ રિપોર્ટ બાદ પાર્ટસમાં ચેન્જિસ કરાયા છે કે નહિ. અકસ્માત બાદ રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલે દાવો કર્યો છે કે, વેકેશન પહેલા નટબોલ્ટ બદલ્યા હતા.
જે સમયે રાઈડનો અકસ્માત થયો, ત્યારે સાંજનો સમય હોઈ લોકો મજાના મૂડમાં હતા. કેટલાક વોક કરી રહ્યા હતા, કેટલાક રમી રહ્યા હતા, તો કેટલાક કાંકરિયાની પાળે બેસીને હળવાશની પળો માણતા હતા. તો કેટલાક સેલ્ફી અને વીડિયો લઈ રહ્યા હતા. આવામાં રાઈડ ધડાકાભેર નીચે તૂટી પડી હતી. આ ઘટનાને નજરે જોનારા તો ધડીક હેબતાઈ ગયા હતા. જેના બાદ તરત દોડધામ મચી ગઈ હતી. રાઈડમાંથી લોકોને બહાર કાઢવા માટે યુદ્ધધોરણે કામ શરૂ થયું હતું. ફાયરબ્રિગેડ આવે તે પહેલા જ લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. લોહીથી લથબથ અને દર્દથી બૂમો પાડી રહેલા લોકોને માંડમાંડ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ચારેતરફ અફરાતરફરી મચી ગઈ હતી.
કાંકરિયા રાઈડ અકસ્માત બાદ શું કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ? જુઓ
ઘટનાને નજરે જોનારા કહે છે કે, રાઈડ અડધી મિનીટમાં જ છૂટી થઈને નીચે પડી હતી. દર્દથી અનેક લોકો કણસતા રહ્યા હતા. કેટલાક લોકો સીટ બેલ્ટની અંદર અટવાયા હતા. કોઈનો હાથ ભાંગ્યો હતો, તો કોઈનો પગ. કોઈ દર્દથી કણસી રહ્યું હતું, તો કોઈ પોતાના વ્હાલસોયાને જલ્દી બહાર કાઢવામાં બૂમાબૂમ કરી રહ્યું હતું. આવા નજારાથી ગોઝારા દ્રશ્યો સર્જાયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તો આવતા સરકારી હોસ્પિટલમાં તબીબોને પણ તાત્કાલિક દોડાવવા પડ્યા હતા. તો બીજી તરફ, એલજી હોસ્પિટલમાં પણ સારવારમાં ભારે મુશ્કેલીઓ આવી હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રાત્રે નવ વાગ્યા સુધી કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર મળી નહતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે