અજય શીલુ/ પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ખાદી સૌથી વધુ પ્રિય હતી સમય જતા ખાદીના વસ્ત્રો માત્ર ગાંધીવાદીઓ અને રાજકારણીઓ પુરતા જ સિમીત બન્યા હતા. પરંતુ આજે ખાદીના વસ્ત્રોમાં જે રીતે વિવિધ વેરીએશન જોવા મળી રહ્યુ છે તેને લીધે આજે ખાદીના વસ્ત્રોનો નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે અને ખાસ યુવાનોમાં દિવસેને દિવસે ખાદીનો ક્રેઝ વધી રહ્યો છે.
સત્યના પૂજારી અને સમગ્ર વિશ્વ જેને મહામાનવ ગણે છે તે ગાંધીજી અને ગાંધીવાદીઓ હંમેશા ખાદીના વસ્ત્રો જ પહેરતા આવ્યા છે. ખાદીનું વણાટ કામ કરતા કારીગરોને રોજગારી મળી રહે અને સ્વદેશી ખાદી લોકો વધુ પહેરે તે ગાંધીવાદીઓનું મુખ્ય ધ્યેય હોય છે. કહેવાય છે કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમય સાથે ખાદીના વસ્ત્રોમાં પણ વિવિધતા આવી આજે ખાદીમાં ફક્ત કહેવાતા બે ત્રણ કલરોના ઝભ્ભા અને કુર્તાને બદલે વિવિધ પ્રકારના ડિઝાઈનવાળા શર્ટ, જીન્સ, સદરા, કુર્તા સહિતનું ઉત્પાદન થઈ રહ્યું છે તો મહિલાઓ માટે આધુનીક હેરમ, પ્લાજો અને કુર્તા સહિતના આકર્ષક કલર અને ડિઝાઇન સાથેના ખાદીના વસ્ત્રો મળતા થયા હોવાથી મોટી સંખ્યામાં લોકો તેની ખરીદી રહ્યા છે. ફક્ત ગાંધી જન્મભૂમિ પોરબંદરના ખાદી ભવન ખાતે જ ખાદીનું ચલણ એટલુ વધ્યુ છે કે દર વર્ષે ખાદીના વેચાણનો આંક કરોડોને પાર થઈ રહ્યો છે તેવું પોરબંદર ખાદી ભવનના મંત્રી મુકેશ દત્તાએ જણાવ્યુ હતું.
આજના કહેવાતા મોર્ડન યુગમાં યુવાધન પાશ્ચાત્ય સંસ્કૃતિની આંધળી દોટમાં આપણી સંસ્કૃતિને ભુલી રહ્યું છે તેવું કહેવાય છે. પરંતુ ભારતીય યુવાઓ પ્રત્યેની આ માન્યતાને ખોટી સાબિત ઠરી છે કારણ કે, ગાંધીવાદીઓ અને વૃદ્ધો જ ખાદી પહેરે છે તે માન્યતાને યુવાઓએ બદલી છે અને પોરબંદરની ખાદી ભવન ખાતે મુલાકાત લઈને આજે યુવાનો મોટા પ્રમાણમાં ખાદીના વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. ખાદીના વસ્ત્રોની ખરીદી કરવા આવનાર યુવાઓએ એવુ જણાવ્યુ હતુ કે, ખાદી હાલમાં યુવાઓમાં વધુ પ્રચલિત છે તેનુ કારણ છે કે, ખાદી એ સ્વદેશી છે અને આજના યુવાનો સ્વદેશી તરફ વળ્યા છે તો સાથે જ ખાદીના કપડા આપણા શરીર માટે પણ લાભદાયક છે તો સાથે જ ખાદીમાં પણ આજે ટ્રેન્ડ પ્રમાણે અલગ-અલગ વેરિએશનના વસ્ત્રો મળી રહ્યા છે.
આટલા વર્ષો વીતવા છતાં આજે પણ ખાદીનો ચળકાટ એટલો જ જોવા મળી રહ્યો છે અને આજે જે રીતે ખાદીમાં યુવાઓને ધ્યાને લઈને વસ્ત્રો બની રહ્યા છે તેને લઈને ખાદીના વસ્ત્રોને લઈને યુવાનોમાં એક નવો જ ટ્રેન્ડ શરુ થયો છે અને જે રીતે આજે યુવાઓમાં ખાદીની માંગ વધી છે તેને જોતા આવનાર સમયમાં ફરીથી ખાદીના વસ્ત્રોનો બજારમાં દબદબો વધશે તે તો ચોક્કસ કહી શકાય તેમ છે. ત્યારે આજના હરીફાઈના આ યુગમાં ખાદીની ખરીદીને વધુ વેગ મળે યુવાઓ વધુને વધુ ખાદી તરફ વળે તે માટે વળતર સહિતની જે ખાસ ઓફરો છે તે વધુ માત્રામાં મળતી રહે તો ખરીદીને જરુરથી વધુ વેગ મળશે તેવુ ચોક્કસ કહી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે