ચેતન પટેલ/નવસારી :નવસારીમાં પૂર બાદ દશા બગડી છે. એક તરફ આકાશથી કહેર વરસી રહ્યું છે, તો બીજી તરફ લોકોને જમીન પર ક્યાં જવુ તે સૂઝતુ નથી. ત્યારે ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતો પુલ બેસી જવાની ઘટના બની છે. કાવેરી નદી પર બનેલા બ્રિજનો ઊંડાચ તરફનો સ્પાન બેસી ગયો છે. પુલ બેસી જતા પુલને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. અંદાજે 8 વર્ષ અગાઉ કાવેરી નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. ત્યારે માત્ર 8 વર્ષમાં જ કેવી રીતે પુલ બેસી ગયો તે ચર્ચાનો અને તપાસનો વિષય છે.
કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા પુલ પર 30 ફુટ સુધી પાણી ભરાયા હતા. આ વચ્ચે ગણદેવીના આંતલિયા-ઊંડાચને જોડતો પુલ બેસી જતા લોકોની હાલાકી વધી છે. પુલ બેસી જતા આંતલિયાથી બલવાડાના લોકોની હાલાકી વધી છે. સ્થાનિક અધિકારીઓનો ભ્રષ્ટચાર આ પુલની કામગીરીમાં દેખાઈ રહ્યો છે. બ્રિજ એક તરફ નમી પડ્યો છે, જેથી બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે, આ બ્રિજ નેશનલ હાઈવેને જોડતો બ્રિજ છે, ત્યારે તેનાથી હાઈવે સાથેનો સંપર્ક તૂટ્યો છે.
સ્થાનિકે કહ્યુ, આ બ્રિજ થકી લગભગ 4 થી 5 ગામનો લોકો હાઈવે તરફ જાય છે. હાલ બ્રિજ બંધ થવાથી તેના બંને છેડે પોલીસની ટીમ ગોઠવી દેવાઈ છે. હાલ આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
નવસારીને કલેક્ટરે કહ્યું અમે તપાસ કરીશું
નવસારીના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ બ્રિજ વિશે કહ્યુ કે, હાલ નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ છે. બ્રિજ ડેમેજ થયો છે તેની સૂચના અમારી પાસે આવી છે. અમે તેની તપાસ કરીશું. હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. તપાસ બાદ અમે તેની માહિતી આપીશું કે તે કેટલા વર્ષ જૂનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે