ચેતન પટેલ/સુરત :સુરતના હજીરામાં ઓએનજીસી પાસે લાગેલ આગની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. જોકે, આ આગમાં એક શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ શ્રમિક કંપનીની પાછળના ભાગમાં આવેલ એક ઝૂપડામાં રહેતો હતો. ધડાકાને કારણે ઝૂંપડું ધડાકાભેર શ્રમિક પર તૂટી પડ્યું હતુ. આ મામલે હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની ઓએનજીસી કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લિકેજને કારણે કંપનીમાં ઉપરાઉપરી ત્રણ વિસ્ફોટ થયા હતા. જેના બાદ મોટા ધડાકા સાથે આગ લાગી હતી. જે પણ લોકોએ આ બ્લાસ્ટ જોઈએ તેઓ માટે આ નજારો અજીબ હતો. અંધામાં સૂર્યની રોશનીની જેમ જ્વાળા નીકળી હતી.
આ પણ વાંચો : surat blast ને લોકોએ અડધી રાત્રે સૂર્યોદય ગણાવ્યો, ઘરની બારીમાંથી ક્લિક કરેલી તસવીરો કરી શેર
આ આગમાં ત્રણ લોકો ગુમ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જોકે, બાદમાં ઓએનજીસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કંપનીની પાછળ આવેલી ઝૂંપડીમાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે. કંપનીની બહાર ઝૂપડામાં રહેતા એકનું દાઝી જવાથી મોત થયું છે. ભાટપોર વતની અને મજૂરી કરતો રમેશ રાઠોડ ઝૂપડું સળગતા દાઝ્યા બાદ મોતને ભેટ્યો હતો. ઝૂપડામાં રહેતા ત્રણ વ્યક્તિઓ રહેતા હતા, જેમાંથી બે વ્યક્તિ નાસી ગયા હતાં. આગનું તણખલુ ઝૂંપડા પર પડ્યું અને આગ લાગી હતી તેવું કહેવાય છે.
બ્લાસ્ટ થયા બાદ ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતાં આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે