Modasa News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દાવો કર્યો કે, માત્ર કોંગ્રેસ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. એક સપ્તાહની અંદર રાહુલની બીજી ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે આ વાત કહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીના કાર્યકર્તાઓ ભલે નિરાશ દેખાઈ રહ્યા છે, પરંતુ માત્ર તેમની જ પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપને હરાવી શકે છે. રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બૂથ સ્તરના કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધિત કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ RSS અને લગભગ 30 વર્ષથી રાજ્યમાં સત્તા પર રહેલ BJPને હરાવવાનો તેમની પાર્ટીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતને કોંગ્રેસ માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ગણાવ્યું, જ્યાં પાર્ટી એક સમયે શક્તિશાળી રાજકીય દળ હતી.
રાહુલ ગાંધી ગુજરાતમાં સંગઠનને નવું રૂપ આપવાના કોંગ્રેસના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા એકમોને મજબૂત કરવા માટેની પ્રાયોગિક યોજના શરૂ કર્યા પછી કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. ગુજરાતમાં 2027ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. આપણે ગુજરાતમાં નિરાશ દેખાઈ રહ્યા છીએ, પરંતુ આપણે તેમને (ભાજપ) રાજ્યમાં હરાવીશું. હું તમને કહેવા આવ્યો છું કે, તે મુશ્કેલ નથી. આપણે આ કાર્ય ચોક્કસપણે પૂર્ણ કરીશું. માત્ર કોંગ્રેસ પાર્ટી જ RSS અને ભાજપને હરાવી શકે છે."
દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનું પ્રદર્શન
નોંધનીય છે કે, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ 'નેશનલ હેરાલ્ડ' કેસમાં ED દ્વારા પાર્ટીના ટોપના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાના વિરોધમાં બુધવારે દેશભરમાં ED કાર્યાલયોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓએ EDના આ પગલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું. કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટે આરોપ લગાવ્યો કે, આ બધો રાજકીય પ્રેરિત મામલો છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે, "આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે. અમને ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ છે. અમે તેને કાયદાકીય રીતે લડીશું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે." પાયલટે કહ્યું કે, આ બધું વિપક્ષના અવાજને દબાવવા માટે કરવામાં આવ્યું છે.
પાર્ટીના મીડિયા સેલના પ્રમુખ પવન ખેરાએ દાવો કર્યો કે, "નેશનલ હેરાલ્ડ, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીથી 1947 પહેલા અંગ્રેજો ચિઢાતા હતા. આજે 2025માં RSSના લોકો ચિઢાય છે." તેમણે કહ્યું કે, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી ત્યારે પણ દલિતનો અવાજ હતો અને આજે પણ છે. ખેડાએ કહ્યું કે, "જે નોન-પ્રોફિટ કંપનીમાં એક રૂપિયાની પણ લેવડ-દેવજ નથી થઈ, કોઈ સંપત્તિ ટ્રાન્સફર કરવામાં નથી આવી, તેના પર મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવો મોદીનો ડર દર્શાવે છે." ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે