અતુલ તિવારી/અમદાવાદ :કોરોના સંક્રમિત દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાત વધતા ઓક્સિજન સિલિન્ડરની માંગમાં ત્રણ ગણો વધારો થયો છે. ઓક્સિજન સિલિન્ડરનો સપ્લાય કરતા વેપારીઓના ત્યાં સતત સિલિન્ડર ભરાવવા માટે ગાડીઓની લાઈન લાગી રહી છે. અગાઉ સામાન્ય દિવસમાં જે વેપારી 700 સિલિન્ડર ભરતા, એ હાલ 1700 સિલિન્ડર એક જ દિવસમાં ભરી આપે છે.
રાજ્યમાં ઓક્સિજનનુ પુરવઠો ખોરવાઈ રહ્યો છે તેવી ફરિયાદો ચારેતરફથી ઉઠી છે. સપ્લાય નથી તેવું કહી રહ્યાં છે. ત્યારે આ મામલે કઠવાળા GIDC માં આવેલા ઓક્સિજન પ્લાન્ટના માલિક પાસેથી ખરી પરિસ્થિતિ જાણી. તેમણે જણાવ્યું કે, માત્ર હોસ્પિટલમાં જ તેઓ સપ્લાય કરી રહ્યા છે. એક ઓક્સિજન સિલિન્ડરમાં 7 ક્યુબીક મીટર ઓક્સિજન ભરવામાં આવે છે. એક વેન્ટિલેટર પર રહેલો દર્દી, અડધા કલાકમાં એક ઓક્સિજન સિલિન્ડરની બોટલનો વપરાશ કરે છે.
તો બીજી તરફ, ઓક્સિજનની માંગમાં વધારો થતાં રાત્રિના સમયમાં પણ ઉત્પાદનની ઉત્પાદકોએ સરકારથી પરવાનગી માંગી છે. ગઈકાલે 8 વાગે માગેલી પરવાનગી માત્ર અડધો કલાકમાં જ સરકારે મંજૂર કરી છે. અમદાવાદના કઠવાળા GIDC માં લાલન એર પ્રોડક્ટના માલિક પ્રણવ શાહે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, હાલ અમે ઇન્ડસ્ટ્રીઝમાં સંપૂર્ણ ડિલિવરી બંધ કરી છે. છેલ્લા 30 વર્ષથી ધંધો કરી રહ્યો છું પણ ક્યારેય વિચાર્યું ન હતું કે આટલી વધારે ઓક્સિજનની માગ હોસ્પિટલમાં પેદા થશે. આટલું વધારે ઉત્પાદન હોસ્પિટલ માટે અગાઉ ક્યારેય કરાયું નથી. અગાઉ કોરોનાની જે લહેર જોવા મળી હતી, આ વખતે એના કરતાં પણ સ્થિતિ ખતરનાક છે, ઓક્સિજનની માંગ ખૂબ વધી છે. અત્યારે હોસ્પિટલને જરૂરી પડી રહેલા ઓક્સિજનના જથ્થાની માંગ જોતાં લાગી રહ્યું છે કે આગામી અઠવાડિયામાં હજુ પણ ઓક્સિજનની માગ વધશે.
તેમણે જણાવ્યું કે, સરકારે અડધો કલાકમાં રાત્રિના ઉત્પાદન માટે પરવાનગી આપી છે, એટલે હવે અમે પણ દિવસ રાત ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છીએ. અમારો બનતો પ્રયત્ન છે કે વધુમાં વધુ ઓક્સિજન સપ્લાય ચાલુ રાખીએ. હાલ ઇન્ડસ્ટ્રીઝમાં અમે સંપૂર્ણ સપ્લાય બંધ કર્યો છે, અમારા પૈસા ઇન્ડસ્ટ્રીઝમાં ફસાયા છે, અમે સપ્લાય કરીએ તો જ બાકીના રૂપિયા મળશે એવું કહેવામાં આવે છે, પરંતુ લોકહિતમાં હાલ અમે ઓક્સિજનનો સંપૂર્ણ સપ્લાય હોસ્પિટલમાં જ કરી રહ્યા છીએ. હોસ્પિટલથી પણ જે લોકો પ્લાન્ટ પર ઓક્સિજન સિલિન્ડર લેવા આવી રહ્યા છે, તેમના ઓક્સિજન સિલિન્ડર પણ 5 થી 7 કલાક રાહ જોયા બાદ ભરાઈ રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર ભરાવવા માટે પણ વેઈટિંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : રાત પડતા જ સુરતના સ્મશાન ગૃહોના દ્રશ્યો બદલાઈ જાય છે, એકસાથે 25 લોકોના અગ્નિદાહ કરાય છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે