તેજસ મોદી/મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે (9મી ઓક્ટોબર) રવિવારે સાંજના 4 વાગે બહુચરાજી તાલુકાના દેલવાડા ગામે જનસભા સંબોધશે. ત્યારબાદ મોઢેરા સ્થિત કુળદેવી મોઢેશ્વરી માતાનાં દર્શન કરી આશીર્વાદ મેળવી કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કરશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કુળદેવીનાં દર્શન કરશે. મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાજીના દર્શન કરશે. વર્ષ 2003માં નરેન્દ્ર મોદી સીએમ હતા તે સમયે પ્રથમ વાર અહી દર્શન કરવા આવ્યા હતા. હવે બીજી વખત પીએમ મોદી કુળદેવીનાં દર્શને આવશે. મોઢેશ્વરી માતાજીના મંદિરે વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
તમને જણાની દઈએ કે મોઢેશ્વરી માતાજી મંદિર ત્રણ વખત ખંડિત થયેલું છે. ઈ. સ.1962માં મોઢેશ્વરી મંદીરનો જીર્ણોધ્ધાર થયો હતો. તે વખતના વિરમગામના વતની નાથુભાઈ વકીલ જે પાટણમાં વકીલાત કરતા, જેઓએ પ્રણ લીધેલો કે જ્યાં સુધી માતાજીનો જીર્ણોધ્ધાર નહિ કરું ત્યાં સુધી માથે પાઘડી અને પગે મોજડી નહિ પહેરું. ત્યારબાદ 1962માં મોઢેશ્વરી મંદિરનો જીર્ણોધ્ધાર થયો હતો.
મહત્વનું છે કે, મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ મોદી, મોઢ પટેલ એમ ચાર જ્ઞાતિના મોઢેશ્વરી માતાજી કુળદેવી છે. મહાસુદ 13 એ માતાજીનો જન્મ દિવસ હોય છે, જ્યારે મોટા ઉત્સવની ઉજવણીરૂપે રથયાત્રા યોજાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે