Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું અંડરપાસ નાળું એન્જિનિયરોના પાપે ખુલ્લું મુકાયું નથી! ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાળુ બનાવવામાં આવ્યું હતું. પરંતું મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને કેવા તજજ્ઞો છે તે વિશેનું ઉત્તમ ઉદાહરણ છે આ અંડર પાસ નાળું. લાખો રૂપિયાના ખર્ચે અંદર પાસ નાલુ બનાવ્યું પરંતુ પાણી નિકાલ વ્યવસ્થા જ ભુલાઈ ગઈ..
રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો કેટલા બુદ્ધિશાળી અને તજજ્ઞો છે તે હોમીદસ્તુર માર્ગ ઉપર બનાવવામાં આવેલ અંડરપાસ નાળું સાબિત કરે છે. કેમકે બે વર્ષ પહેલા અહીં 4 કરોડ રૂપિયાના ખર્ચે વાહન ચાલકોને વરસાદી પાણી ભરાવાથી રાહત મળે અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે આધુનિક અંડરપાસ નાળું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં છેલ્લા બે મહિનાથી આ અંડરપાસ નાળું બની તો ગયું છે પરંતુ તેમાં પાણી નિકાલ માટેની સ્ટ્રોંમ વોટર સુવિધા જ ભૂલાઈ ગઈ છે
રાજકોટના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અંડરપાસ નાળું બનાવવાનું આયોજન હોમી દસ્તુર માર્ગ ઉપર કરવામાં આવ્યું હતું. અને તેના માટે કોર્પોરેશને 4 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. પરંતુ આ અંડરપાસ નાળું છેલ્લા બે મહિનાથી તૈયાર થઈ ગયું છે છતાં પણ તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. કેમકે જે પાણી નિકાલ માટે આ અંડરપાસ નાળું બનાવવામાં આવ્યું હતું તે જ પાણી નિકાલ કરવા માટેની સ્ટ્રોંમ વોટર સુવિધા જ ભુલાઈ ગઈ છે અથવા એન્જિનિયરોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.
પૂર્વ કોર્પોરેટર ઘનશ્યાસિંહ જાડેજાએ જણાવ્યું કે, હોમી દસ્તુરમાર્ગ ઉપર બનાવવામાં આવેલ આ અંડરપાસ નાળાથી દરરોજના 15થી 20હજાર વાહન ચાલકોને ફાયદો થશે. પરંતુ આ અંડરપાસ છેલ્લા બે મહિનાથી બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે નાલામાં સ્ટ્રોંમવોટર સુવિધા જ ભુલાઈ છે. જેથી આ ચોમાસામાં પણ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી જવાબદાર એન્જિનિયરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ રાત્રિના લાઈટ ગુમ થાય તો પીજીવીસીએલની ઓફિસે હલ્લાબોલ કરતા હોઈએ છીએ પરંતુ અહીં આટલી મોટી બેદરકારી થઈ તો કોઈ દેખાયું જ નહીં..
હોમી દસ્તુર માર્ગ ઉપર બનાવવામાં આવેલ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને મામલે નાયબ કમિશનર એચ.આર.પટેલે ઝી 24 કલાક સમક્ષ જણાવ્યું હતું કે રેલવેએ હજુ કોર્પોરેશનને આ અંડરપાસ સોપ્યો નથી. આવું કહી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કમિશનર સાથે સાઇટ વિઝીટમાં ગયા હતા. આ કોઈ મોટો ઇસ્યુ નથી. ટેકનિકલ શું થઈ શકે છે તે બાબતે એન્જિનિયરો પાસેથી મંતવ્ય મંગાવવામાં આવ્યા છે.
આમ કહીને નાયબ કમિશનેર રેલવે તંત્રને ખો આપી દીધી હતી. પરંતુ વાસ્તવમાં રેલ્વે ટ્રેક ઉપર થતા ઓવરબ્રિજ અને રેલવે ટ્રેક નીચે થતા અંડરબ્રિજમાં રેલવે ટ્રેક સુધીના ભાગમાં આવતું જ બાંધકામની જવાબદારી માત્ર રેલવેની હોય છે તે સિવાયનું તમામ કોર્પોરેશન અથવા જે તે વિભાગને કરવાનું હોય છે. ત્યારે વધુ એક વખત પ્રજાના ટેક્સના પૈસા એન્જિનિયરની ભૂલના લીધે વેડફાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે