અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. ત્યારે ઝી ચોવીસ કલાકે શહેરના કેટલાક વિસ્તારોમાં રિયાલીટી ચેક કર્યુ, જેમાં અનેક ઠેકાણે હજીપણ ગંદકી ખદબદી રહી હોવાનું જણાયુ. આ મામલે મેયર અને કમિશ્નરે સ્વીકાર્યુ કે ભલે હાલમાં છઠ્ઠો ક્રમ આવ્યો હોય, પરંતુ એએમસીનું લક્ષ્ય પ્રથમ નંબર પ્રાપ્ત કરવાનું છે અને તે માટે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પરંતુ અહીયા પ્રશ્ન એ પણ ઉઠે છે કે શહેરને સ્વચ્છતા અંગે એવોર્ડ મળ્યો તે આવકાર્ય છે, પરંતુ શું ખરેખર અમદાવાદ આટલુ સ્વચ્છ છે ખરુ. મામલાની રિયાલીટી જાણવા ઝી ચોવીસ કલાકે શહેરના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી. અને જાણી આવી ગંભીર વાસ્તવીકતા...
શહેરનો પ્રહલાદનગર વિસ્તાર... કે જ્યાં મુખ્યમાર્ગ પર પડેલુ આ લોખંડનું ડસ્ટબીન સંપૂર્ણ ભરેલુ છે, છેલ્લે ક્યારે ખાલી કરાયુ હતુ તેની કોઇ માહિતી નથી. તો શહેરના વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશનથી શ્રીનંદનગર તરફ જવાનો માર્ગ. અહીયાં પણ મુખ્યમાર્ગ પરજ કચરાનો ઢગલો પડેલો છે અને ગૌવંશ તેમાંથી પોતાનો ખોરાક શોધી રહ્યુ છે.
આવા જ દ્રશ્યો વેજલપુર પોલીસ ચોકીની પાછળ પણ જોવા મળ્યા. કે જ્યાં કેટલાક દિવસોથી સફાઇકર્મીઓએ કચરો ઉપાડ્યો જ ન હોય તેમ જણાયુ. અહીયા પણ ગૌમાતાઓ કચરામાંથી પોતાનો ખોરાક શોધતી નજરે પડી હતી. આ વિસ્તારમાંથી ઝી ચોવીસ કલાક પહોંચી પાલડી વિસ્તારમાં જ્યાં શહેરના મેયર એવા બીજલ પટેલનો મતવિસ્તાર છે. પરંતુ પાલડીમાં પહોંચતા જ વાસ્તવીકતા સામે આવી. મીઠાખળી અંડરપાસથી મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જવાનો માર્ગ કે જ્યાં કચરાના ઢગલા જોવા મળી મળ્યા હતા.
2016 અને 2017માં શહેરનો ક્રમ 14મો અને 2018માં 12મો નંબર હતો
દેશભરમાં સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ બુધવારે જાહેર થયું, જેમાં અમદાવાદ ટોપટેનમાં આવ્યું હતું અને છઠ્ઠો રેંક મેળવ્યો હતો. આ પહેલા ત્રણ વર્ષના દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત 14મા અને એક વખત 12મા ક્રમે આવ્યું હતું.
એએમસીએ લીલો સૂકો કચરો અલગ કરવાની શરૂઆત કરી
આ વર્ષે શહેરને કન્ટેન્ટર ફ્રી (જાહેર રોડ પરથી કચરાપેટી ખસેડાઈ) કરાયું હતું. છેલ્લા બે વર્ષમાં ક્યારેય સેગરીગેશન (લીલો-સૂકો કચરો અલગ તારવવો) કરીને કચરો મળતો ન હતો. પરંતુ મ્યુનિસિપલ કમિશનરે સેગ્રિગેટ કરેલો કચરો જ લેવાનું ફરજિયાત કરતા વર્ગીકરણના માર્કસ પણ શહેરને પહેલી વખત મળ્યા છે. આ વખતે ઓડીએફ પ્લસ અને ઓડીએફ પ્લસ પ્લસનું રેટિંગ પણ મળ્યું હતું. સિટીઝન્સ ફીડબેક માટે પણ મ્યુનિસિપલ તંત્રના દરેક વિભાગોને કામે લગાડવામાં આવતા તેમાં પણ દર વર્ષ કરતા માર્કસ વધુ મળ્યા હોવાનો દાવો અધિકારીઓએ કર્યો હતો.
એક નજર કરીએ એએમસીને વિવિધ કેટેગરી મુજબ મળેલા માર્ક્સ પર
વિષય | ગુણ | મળેલા ગુણ | ડીફરન્સ |
સ્થળ ચકાસણી | 1250 | 1248 | 2 |
શૌચાલય સર્ટીફીકેટ | 250 | 250 | 0 |
સર્વિસ લેવલ પ્રોગ્રેસ | 1250 | 1167 | 83 |
નાગરીકોના મત | 1250 | 972 | 278 |
ગાર્બેઝ ફ્રી સિટી | 1000 | 500 | 500 |
કુલ ગુણ | 5000 | 4137 | 867 |
ત્યારે ઝી ચોવીસ કલાકે કરેલા રિયાલીટી ચેક મામલે મેયર અને કમિશ્નરને સ્વીકાર્યુ કે શહેરમાં હજીપણ 10 ટકા એવી વસ્તી છે સતત ગંદકી ફેલાવતી રહી છે. અને આ મામલે હવે આગામી દિવોસોમાં વધુ કડક કાર્યવાહી કરીને શહેરના દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે લાવીને રહીશું. હાલ તો અમદાવાદને સ્વચ્છતા અંગે જે એવોર્ડ મળ્યો તે આવકાર્ય છે, પરંતુ આ એવોર્ડ મળ્યા બાદ તંત્ર સફાઇ અંગેની પોતાની ઝુંબેશ કેટલી કડક રીતે યથાવત રાખે છે તે પણ જોવુ રહ્યુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે