કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ વચ્ચે કચ્છ જિલ્લામાં આજે પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. આ વચ્ચે કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તાર માટે મોટો નિર્ણય લેવાયો છે.
લેવાયો મોટો નિર્ણય
ભારત અને પાડોશી દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કચ્છના ત્રણ બંદરો પર માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા પ્રમાણે કચ્છના ત્રણ મત્સ્ય બંદર 1. નારાયણ સરોવર, 2. જખૌ અને 3. લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ માછીમારી પર તત્કાલ અસરથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલે કે આગામી આદેશ સુધી આ જગ્યાઓ પર માછીમારો માછીમારી કરી શકશે નહીં.
જે લોકો આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કલમ-7ની પેટા કલમ 1 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, કચ્છ-ભુજ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો, 2204 કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી
ભૂજમાં પાકિસ્તાને કર્યો હુમલાનો પ્રયાસ
ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાને 7 મેના રોજ રાતે ભારતના અલગ અલગ શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં કચ્છના ભુજ પર પણ હુમલો કરાયો હતો.
ભારતે હુમલાને નિષ્ફળ બનાવ્યો
આ હુમલાઓનો કાટમાળ હવે અનેક સ્થળોએથી પુનઃપ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓનો પુરાવો આપે છે. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ્સને નિશાન બનાવ્યા. ભારતનો પ્રતિસાદ પાકિસ્તાન જેવી જ રીતે અને સમાન તીવ્રતા સાથે રહ્યો છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે