Surat News: આતંકી હુમલામાં નજર સામે સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું છે. પતિને ગુમાવનાર શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું છે. તેમણે જણાવ્યું હતું કે પરિવાર અનેક અરમાનો સાથે ધરતી પરના સ્વર્ગમાં ફરવા ગયો હતો. શૈલેષભાઈનો જન્મદિવસ ઉજવવાનો હતો. દીકરીએ 12માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ પરિવારને હળવાશનો સમય માણવા માટે ગયો હતો પરંતુ તેમને શું ખબર હતી કે, તેમના પ્રિયજનને તેમણે ગુમાવવા પડશે.
પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા હતા. તેમણે કહ્યું કે પહેલા તો આતંકીઓએ ધર્મ પુછીને લોકોને અલગ તારવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઈને તેમના પત્ની અને સંતાનોની સામે ગોળી મારવામાં આવી હતી. જ્યાં સુધી શૈલેષભાઈનો જીવ ન ગયો ત્યાં સુધી એ આતંકીઓ ત્યાં જ ઉભા હતા અને હસતા હતા. આતંકીઓની આ હરકતે શૈલેષભાઈના પરિવારને જીંદગીભર ન ભૂલી શકાય એવા ઘા આપ્યા છે. પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા.
મૃતકની પત્નીએ વિલાપ કરતા કહ્યું કે મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા..
દીકરી અને બહેનોએ આપી શૈલેષભાઈની અર્થીને કાંધ
તમને જણાવી દઈએ કે કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોનાં મોતને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ભભુકતો દાવાનળ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. શૈલેષભાઈ કળથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ભાઈના ઘરેથી શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નિકળી છે. દીકરી અને બહેનોએ શૈલેષભાઈની અર્થીને કાંધ આપી છે.
ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈનાં મોતના સમાચાર સાંભળીને બહેનોની હાલત બગડી
મોટા વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં પણ આ ઘટનાને કારણે ભારે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક શૈલેષ કળથિયાનાં પિતા હાલમાં પોતાના વતનમાં જ વસવાટ કરી રહ્યા છે. ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈનાં મોતના સમાચાર સાંભળીને બહેનોની હાલત પણ હૃદયદ્રાવક થઈ જવા પામી છે. જો કે, આતંકવાદી હુમલામાં શૈલેષ કળથિયાનાં મોતના સમાચારને પગલે સમગ્ર શહેરમાં આ ઘટનાને પગલે ઘેરા રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા મોડીરાત્રે શૈલેષ કળથિયાનાં મૃતદેહને સુરત લાવવામાં આવ્યો હતો અને સંભવતઃ શ્રીનગરથી મુંબઈ હવાઈ માર્ગે અને ત્યારબાદ ત્યાંથી ખાસ વિમાન દ્વારા રાત્રે 10 કલાક સુધીમાં સુરત ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો.
પત્ની અને સંતાનોની નજર સામે શૈલેષભાઈને ગોળી મરાઈ
મહત્વનું છે કે શૈલેષભાઈ કળથિયા ચાર બહેનોના એકને એક ભાઈ હતા. આજે તેમની અંતિમ યાત્રામાં સી. આર. પાટીલ, હર્ષ સંઘવી, મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા હાજર રહ્યા હતા. શૈલેષભાઈ પોતાનો જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે કાશ્મીર ગયા હતા. શૈલેષભાઈ પુત્રીએ 12માં ધોરણની પરીક્ષા આપી દીધા બાદ ફરવા માટે કાશ્મીર લઈ ગયા હતા. બૈસરન ઘાટીમાં ફરવા ગયા અને શૈલેષભાઈ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા. પત્ની અને સંતાનોની નજર સામે શૈલેષભાઈને ગોળી મારવામાં આવી હતી.
શૈલેષભાઈનાં ઘરે મૃતદેહ મોડીરાત્રે લવાયો
કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોનાં મોતને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ભભુકતો દાવાનળ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓના હિચકારા હુમલામાં ભાવનગરનાં પિતા-પુત્રની સાથે સુરતનાં યુવકનું પણ મોત નિપજ્યું હતું. હાલમાં મુંબઈ ખાતે બેંકમાં નોકરી કરતાં શૈલેષ કળથિયાને છાતીનાં ભાગે ગોળીઓ ધરબી દેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે તેમની પત્ની અને બંને બાળકો હાલમાં સલામત છે. ઘટનાને પગલે મોટા વરાછામાં રહેતાં શૈલેષભાઈનાં ઘરે મૃતદેહ મોડીરાત્રે લવાયો હતો. પરિવારજનો અને આપ્તજનોની હાજરીમાં આજે મોટા વરાછા કસ્તુરી બંગલોથી અંતિમયાત્રા નીકળી કઠોર અબ્રામા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
પત્ની શીતલબેન અને બે સંતાનો સાથે તેઓ પણ કાશ્મીરનાં પ્રવાસે ગયા હતા
મુળ અમરેલીનાં દામનગરના ધુફણિયાના વતની અને સુરતમાં નાના વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં રહેતા શૈલેષ હિંમત કળથિયા સુરતમાં જ એસબીઆઈ બેંકમાં નોકરી કરતા હતા. જો કે, એક વર્ષ અગાઉ તેઓ મુંબઈ ખાતે શિફ્ટ થયા હતા અને ત્યાં જ એસબીઆઈમાં નોકરી કરીને પરિવારજનો સાથે રહેતા હતા. અલબત્ત, પત્ની શીતલબેન અને બે સંતાનો સાથે તેઓ પણ કાશ્મીરનાં પ્રવાસે ગયા હતા.જ્યાં આતંકવાદી હુમલામાં તેમનું કરૂણ મોત નિપજયું છે. પત્ની અને બંને સંતાનોની નજરની સામે જ શૈલેષ કળથિયાને આતંકવાદીઓ દ્વારા ઠાર મારવામાં આવતાં સમગ્ર પરિવારજનોમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.
કાશ્મીરમાં પત્ની અને બં સંતાનો સાથે પ્રવાસે નીકળેલા શૈલેષ કળથિયાને સ્વપ્રે પણ ખ્યાલ નહીં હોય કે આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બની રહેશે. આતંકવાદીઓનાં હિચકારા હુમલામાં તેમનું મોત નિપજતાં પત્ની અને બંને સંતાનો હાલમાં પણ હતપ્રભ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોનાં મૃતદેહોને વતન મોકલવા માટે ખાસ કવાયત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે