અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં જમીનમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નિલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં પ્રથમ વાર બે એકર જમીનમાં ૫૦૦ ચંદનના છોડનું સફળ વાવેતર કરી કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરી રહ્યા છે.
ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નિકળતુ તેલ ઘણુ જ સુગંધીત હોય છે અને તેની વૈશ્વિક બજારમાં ખુબ ઉંચી કિંમત હોય છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૩માં ખેડુતો ચંદન વાવી શકે તે માટે છુટછાટ આપી હતી. જે બાદ દાંતીવાડાના વિનોદભાઈ ભૂતડીયા નામના ખેડુતે હાથ અજ્માવ્યો છે, અને ખેડુતો માટે હાલમાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. દાંતીવાડા તાલુકામાં પથ્થરાળ જમીન હોવાથી ખેડૂતો અહીં એરંડા અને મગફળી સહિતના પાકનું જ વાવેતર વધારે પ્રમાણમાં કરે છે. પરંતુ કેટલાક સમયથી ખેડૂતોમાં આવેલ જાગૃતતા અને કાંઇક નવુ કરવાની ખેવનાથી ખેડૂતો વિવિધ નવી પધ્ધતિ અને યોજનાઓ થકી કૃષિક્ષેત્રે રાજ્યનો ડંકો વગાડી સફળ ખેતી કરી રહ્યા છે.
દાંતીવાડાના નિલપુર ગામના વિનોદભાઈ સવાભાઈ પટેલ દ્વારા પાંચ વર્ષ પહેલા પોતાની બે એકર જમીનમાં પોતાની આગવી સુઝથી 500 જેટલા ચંદનના વૃક્ષોઓનું વાવેતર કર્યું હતું,તેમાંથી હાલમાં 4૦૦ ચંદનના છોડ સફળતા પૂર્વક મોટા થઈ ગયા છે. યોગ્ય પોષણ મળી રહે તે માટે ચંદનની આજુબાજુમાં મહેંદી તુવેર, લીંબડી, સેતુરી સહિતના પાક ઉગાડવામાં આવ્યા છે. વિનોદભાઈ પટેલે 500 જેટલા ચંદનનું વાવેતર કર્યું હતું. પરંતુ તેમાંથી 1૦૦ જેટલા ચંદન બળી ગયા હતા. તેમ છતા હિંમત ન હારી ચીલાચાલુ ખેતી છોડી કંઇક નવુ કરી ચંદનનું સફળ વાવેતર કરી અન્ય લોકોને પણ કંઇક નવુ કરવા પ્રેરણા આપી રહ્યા છે.
ચંદનના વાવેતરથી સમગ્ર આપસપાસના વિસ્તારમાં શિતળતા અને હરીયાળી ફેલાઇ છે.ચંદનનું લાકડુ મોંઘુ હોવાથી તેની ખેતી પણ સાવચેતી અને નિયમ પ્રમાણે કરવી પડે છે. જેમાં એક એકર જમીનમાં 5૦૦-600 રોપાનું વાવેતર કરવામાં આવે છે. અને બે છોડ વચ્ચે દસ ફૂટ જેટલુ અંતર રાખવુ જરૂરી છે. અને એક રોપાને અઠવાડીયે ૮ થી ૧૦ લીટર પાણી મળવુ જરૂરી છે. અને ચંદન સાથે લીંબડી, તુવેર,શરૂ સહિતના રોપા વાવવા ખુબજ આવશ્યક છે. વિનોદભાઈએ આ વિસ્તારમાં ચંદનની સફળ ખેતી કર્યા બાદ આજુબાજુનાં અનેક ખેડુતો આ ખેતરની મુલાકાત લઈ ચંદનનાં વાવેતર પાછળનાં બમ્પર વળતરના ફાયદા જાણકારી મેળવી રહ્યા છે. અને પોતે પોતાના ખેતરમાં ચંદનની ખેતી કરવાનું વિચારી રહયા છે.
ચંદનનાં છોડ હવે આસાનીથી મળી રહે છે અને વનવિભાગ પણ છોડ આપે છે. પહેલા ૧૦૦ રૂપીયાનો એક છોડ મળતો હતો. પરંતુ હવે 10 રૂપિયા પ્રતિ છોડની કિંમત છે. વાવણીનાં 12 વર્ષ પછી તેમાં ડ્રીલીંગ કરાય છે અને તેમાંથી સુગંધ આવે તો જ તેનું કટીંગ કરાય છે.ચંદનએ ખુબજ ઉપયોગી વસ્તુ છે. અને એક વખત તૈયાર થયા પછી લાખોની આવક રળી આપે છે. ત્યારે ચંદન ત્રણ પ્રકારના હોય છે. સફેદચંદન, લાલચંદન, અનુ પીળુ ચંદન જેમા સફેદ ચંદનનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યારે દાંતીવાડાના પ્રગતિશીલ ખેડૂતના આ નવતર પ્રયોગ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.
ચંદનની ખેતી ખુબજ ફાયદાકારક છે ૧૨ વર્ષ બાદ એક વૃક્ષમાંથી ચંદનનું આશરે 15 થી 2૦ કિલો લાકડું મળશે. ચંદનનો બજારભાવ હાલ 3000 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. જો હાલના ભાવે ગણતરી કરીએ તો પણ તેમને વૃક્ષદીઠ ૫૦ હજાર રુપિયાનું વળતર આરામથી મળી શકે તેમ છે.જોકે, ૧૨ વર્ષમાં તો ચંદનના ભાવ હાલ જેટલા છે તેના કરતા દસ ગણા પણ થઈ ગયા હોય તો નવાઈ નહીં. આમ, ૧૨ વર્ષ બાદ જ્યારે વિનોદભાઈ ચંદનનું આ લાકડું વેચશે ત્યારે તેમને કરોડો રુપિયાની કમાણી થશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે