ઝી બ્યુરો/ભાવનગર: સરકાર અને સરકારી તંત્ર વિકાસના કામ તો કરે છે, પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારને કારણે તે ટકતું નથી. સરકાર રોડ બનાવે, બ્રિજ બનાવે પરંતુ આ બધુ જ થોડા સમયમાં જર્જરિત થઈ જાય છે. ભાવનગરથી અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઈવે તો બનાવ્યો છે. પરંતુ હાલ તે એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહનચાલકોને નીકળવું જોખમી બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ખાડા પડેલા છે. તો નવા ફોરલેનનું કામ તો ચાલી રહ્યું છે પરંતુ ગોકળગતિએ.
મહાનગર ભાવનગરમાં વિકાસના અનેક કામ રાજ્ય સરકાર કરે છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતાં ભ્રષ્ટાચારથી આ કામ વધારે ટકતું નથી. તેનો જીવતો પુરાવો આ હાઈવે છે. આ હાઈવે પરથી વાહન ચાલકો ભાવનગરથી અમદાવાદ જઈ શકે છે. અને આ રોડ પરથી 10 કિલોમીટરનું અંતર ઘટી જાય છે. પરંતુ રોડની દશા સાવ દયનિય છે. રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહનો ભંગાર બની જાય છે. વાહનચાલકોની કમર તુટી જાય તેવો રોડ છે.
ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટેઈડ બ્રિજથી પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગરોડ વધારે વ્યસ્ત રહે છે કારણ કે આ રોડથી અંતર ટુંકુ થઈ જાય છે. પરંતુ રોડ સાવ બિસ્માર છે. તેના કારણે વાહનચાલકોને લાંબુ ચક્કર કાપીને રાજકોટ હાઈવે પર થઈને પસાર થવું પડે છે. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તંત્ર કોઈ ધ્યાન લેતું નથી. હવે આ જ રોડને નવો બનાવવા અને ફોરલેન બનાવવા માટે મંજૂરી અપાઈ છે. 325 કરોડના ખર્ચે રોડનું કામ તો શરૂ થયું છે પરંતુ ગોકળગતિએ કામ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષ થયાં છતાં કામ હજુ સુધી પુરુ નથી થયું.
તો બિસ્માર હાઈવે અને નવા બની રહેલા રોડ પર જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે અમે વાતચીત કરી તો તેમણે 8થી 9 મહિનામાં કામગીરી પૂર્ણ થશે તેવો વાયદો કર્યો. સાથે જ એવું પણ વચન આપ્યું કે, કામગીરી પૂર્ણ થયા બાદ RCCથી મુખ્ય રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરાશે. અધિકારી વચન આપી રહ્યા છે અને વાહનચાલકો તથા સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આખરે રોડની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે