Patidar Anamat Andolan : ગાંધીનગરમાં એકઠા થયેલા પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓએ આજે સમાજના કેટલાક મુદ્દે મંથન કર્યું હતું. આ બેઠકમાં અનેક પાટીદાર નેતાઓ પહોંચ્યા હતા. પરંતું તેમાં આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. જોકે, આ ચિંતન શિબિર વચ્ચે હાર્દિક પટેલની પોસ્ટ આવતા ચર્ચા ઉઠી છે.
આજે ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં પાટીદાર અનામત આંદોલનના ચેહરા બનેલા 50 યુવાઓએ સમાજના કેટલાક મુદ્દાઓમાં ચિંતન કર્યું હતું. પાસ અને એસપીજી બંનેના 50 યુવાની હાજરી રહી હતી. અલ્પેશ કથીરિયા, લલિત કગથરા, લલિત વસોયા જેવા પાટીદાર નેતાઓ જોવા મળ્યા હતા. જોકે, હાર્દિક પટેલની હાજરી જોવા ન મળી. પાટીદાર આંદોલનના આગેવાનોની બેઠક વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ આવી હતી.
હાર્દિક પટેલની પોસ્ટ
આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સમૃદ્ધ ખેતી, વિકાસ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સફળ થઈશ. મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો ત્યારે મારી ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી, એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે એની કોઈ અપેક્ષા મને કે ગુજરાતના લોકોને પણ નહતી. એક વર્ષ જેલમાં રહ્યો અનેક કેસોનો સામનો કર્યો પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ-નોકરીમાં લાભમળ્યો. હું માનું છું કે આંદોલનની એ સફળતા સૌની સમજમાં ના આવે પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે.
આ ચિંતન બેઠકમાં પાટીદાર સમાજની દીકરીઓ ભાગીને લગ્ન કરતી અટકાવવા મુદ્દે ચર્ચા કરાઈ. પાટીદાર સમાજની રાજકીય અને સામાજિક સુરક્ષા અંગે ચર્ચા વિચારણા થઈ. તો પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ વગેરેથી બચાવવા જેવા મુદ્દા મહત્વના રહ્યાં. આ બેઠકમાં ગુજરાત ભરના પાટીદાર સમાજના આગેવાનો એકઠા થયા હતા.
પાસ આગેવાનનો હોબાળો
પાસ કન્વીનરોની બેઠકમાં શાંતિલાલ સોજીત્રા નામના આગેવાને હોબાળો કર્યો હતો. પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલના સમર્થનમાં હોબાળો કરાયો હતો. જયેશ પટેલને આમંત્રણ ન મળ્યું હોવાના મુદ્દે યુવાનો ગુસ્સે થયા હતા. અન્ય યુવાનો શાંતિલાલ સોજીત્રાને બહાર લઈ ગયા હતા. જોકે, મીડિયા સમક્ષ કઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
આ મારા કે પકાલાલના દીકરાના લગ્ન ન હતા - વરુણ પટેલ
તો બીજી તરફ, બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન હોબાળા ઉપર વરુણ પટેલે કહ્યું કે, આ મારા કે પકાલાલના દીકરાના લગ્ન ન હતા. કોઈને આમંત્રણ નહોતું બધાએ આવવું જોઈએ. તો હાર્દિક પટેલની પોસ્ટ ઉપર વરુણ પટેલે નિવેદન આપતા કહ્યું કે, હાર્દિક પટેલ ચૂંટાયેલા ધારાસભ્ય છે. એમને મનમાં આવે એ કરે અને મનમાં આવે એ જગ્યા રહે. મનમાં આવે તેવી સ્વીટ પોસ્ટ કરી શકે છે. જેને સમાજની ચિંતા હતી તે આવ્યા છે જેને ચિંતા નથી તે નથી આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે