રક્ષિત પંડ્યા/રાજકોટ :કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમાં પિતા લલિત કગથરા દીકરાના દેહને જોઈ ધ્રૂસેકને ધ્રૂસકે રડી પડ્યા હતા. પરેશ ધાનાણી તેમને સાંત્વના આપતા નજરે પડ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરાનું ભયાનક અકસ્માતમાં મોત, વોલ્વોના ફૂરચેફૂરચા ઉડી ગયા
મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વહેલી સવારે લલિત કગથરાના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. આ દુખદ પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોઈને ત્યા આ પ્રકારનું દુખ ભગવાન ન આપે, એવી દુખદ ઘટના ઘટી છે. જુવાનજોગ દીકરો, જેના પર ખૂબ આશા અને અરમાન હોય, તેનુ ઓચિંતુ અકસ્માતમાં મોત થાય, ત્યારે આ દુખની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. લલિતભાઈ અને ઈલાબેન તથા તેમના પરિવારને ભગવાન આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
વિશાલના મોતના સમાચાર મળતા જ લલિતભાઈના પરિવારજનો, સગા-સ્નેહીઓમાં ઘેરો શોક છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને લોકો દોડી ગયા હતા. તો મોટી સંખ્યામાં લોકો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાલની અંતિમ યાત્રામાં જોડાયા હતા. પરિવારે ભારે હૃદયે વિશાલને અંતિમ વિદાય આપી.
ઉલ્લેખનીય છે કે, લલિત કગથરાના દીકરા વિશાલ કગથરાનું પશ્ચિમ બંગાળમાં ગઈકાલે એક અકસ્માતમાં મોત નિપજ્યું છે. વિશાલ કગથરા પરિવાર અને મિત્રો સાથે ફરવા ગયો હતો. તેઓ કોલકાત્તાથી ફ્લાઈટમાં પરત ફરવાના હતા, પરંતુ ફ્લાઈટ ચૂકી જતા, તેઓ બાય રોડ બહેરામપુરા આવવા નીકળ્યા હતા. ત્યારે શીલીગુડીથી બહેરામપુર વચ્ચે તેઓ જે વોલ્વોમાં સવાર હતા, તે એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ વિશાલનું એક્સિડન્ટમાં મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહને કપડામાં પોટલુ બાંધીને ટ્રકમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવો પડયો હતો. જ્યારે અકસ્માતમાં વોલ્વો બસ એકબાજુથી આખી ચિરાઈ ગઈ હતી. ગઈકાલે બપોરે મુર્શીદાબાદમાં તેનુ પોસ્ટમોર્ટમ કરાયું હતું, તેના બાદ કોલકાત્તાથી વિમાન માર્ગે તેમના દેહને રાજકોટ લાવવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે