Air India Plane Crash : અમદાવાદમાં અકલ્પનીય ઘટના બની છે. 241 મુસાફરો પર આભથી મોત આવ્યું હતું. અનેક પરિવારો વિખેરાયા છે. જાણે તમામને મોત ખેંચીને લાવ્યું હોય તેવું લાગ્યું. આવામા જામનગરના બક્ષી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક વર્ષ પહેલાં દીકરાનું પ્લેન ક્રેશમાં મોત હવે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માતા-પિતાનું પણ મોત થયુ છે. આમ, પ્લેન ક્રેશની ઘટનાએ બક્ષી પરિવારનો ભોગ લીધો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષભાઈ પરમાર જામનગર આવ્યા હતા. ગતરોજ એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડન જવા નીકળ્યા હતા. જે માટે જામનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા, કમનસીબે, ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં આ વિમાન ક્રેશ થયું હતું. જેમાં નેહલબેન અને શૈલેષભાઈનું મોત નિપજ્યું છે.
કાળની ક્રૂરતા તો જુઓ કે એક વર્ષ પહેલાં તેમના દીકરાનું પણ વિમાન દુર્ઘટનામાં જ મોત થયું હતું. કારણ કે શૈલેષભાઈ અને નેહલબહેનને સંતાનમાં એકમાત્ર પુત્ર હિતનું પણ અગાઉ પ્લેન ક્રેશમા જ મોત થયું હતું. તેમનો દીકરો હિત લંડનમાં કોમર્શિયલ વિમાન ઉડાડવાની તાલીમ લેતો હતો અને તેની તાલીમના આખરી તબક્કામાં, છેલ્લા કલાકની ઉડાન બાકી હતી ત્યારે, આશરે 1 વર્ષ પહેલાં સ્પેનમાં તેનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 26 વર્ષીય હિતનું મૃત્યુ થયું હતું.
આમ, પ્લેન ક્રેશ સાથે બક્ષી પરિવારનું કોઈ લેણું હોય તેમ આખા પરિવારને આ રીતે કાળ ભરખી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે