Gujarat Politics: દાદાની સરકાર ભ્રષ્ટાચારનો કોઈ પણ દાગ ન લાગે એ માટે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવી રહી છે. ભલે પછી એ કોઈ પણ હોય... સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ 2 ડઝનથી વધારે અધિકારીઓને ઘરભેગા કરી દીધા છે. હવે સરકાર એવા સંકેતો આપી રહી છે કે સચિવાલયમાં મંત્રીજી બચુ ખાબડના નામનું પાટીયું લટકતું રહેશે, એ હમણાં મંત્રી પણ રહેશે પણ સત્તા નહીં ભોગવી શકે...
ભાજપ નેતાજીના પદ સાથે મોટા નેતાનું માનપાન પણ છીનવી રહી હોય એમ એમને દાહોદમાં પણ ભાજપના કાર્યક્રમોથી હમણાં દૂર રહેવાની સૂચના અપાઈ હોવાની ચર્ચા છે. ત્રણ મુખ્યમંત્રીઓની 5 સરકારમાં 7 વિભાગોનો હવાલો ધરાવાતા નેતાજી હાલમાં ગાંધીનગરથી દૂર થઈ ગયા છે. આજે પણ ગાંધીનગરની કેબિનેટ બેઠકમાં તેઓ જોવા મળ્યા નથી.
બચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા!
પીએમ મોદીના દાહોદમાં ઘરઆંગણાના કાર્યક્રમ અને ગાંધીનગરના કાર્યક્રમથી દૂર રખાયા બાદ હવે એ ફાયનલ હોવાની ચર્ચા છે કે બચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા થવાના છે. આ બંને મંત્રીઓ પાસેથી શા માટે મંત્રાલયો છીનવી લેવાયા એ આજે પણ રહસ્ય છે પણ પૂર્ણેશ મોદી તો પોતાના દમ પર સત્તા પર રિટર્ન થઈ ગયા. જોકે, રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં પોતાનો દબદબો જાળવી રાખી શક્યા નથી.
દાદાની સરકાર હાલમાં કંઈ પણ નવાજૂની કરવાના મૂડમાં નથી!
એવું પણ બની શકે બચુ ખાબડની પણ વિદાય થઈ જાય... ભાજપના ઘણા નેતાઓ એવું ઇચ્છી રહ્યાં છે કે બચુ ખાબડ ઘરભેગા થાય તો મંત્રી મંડળમાં એમનો ચાન્સ લાગે. ભાજપ માટે પણ આ કપરો સમય છે. ઓછા મંત્રીઓથી ચાલતી દાદાની સરકાર હાલમાં કંઈ પણ નવાજૂની કરવાના મૂડમાં નથી.
છેલ્લા 2 અઠવાડિયાથી મંત્રી બચુ ખાબડ મંત્રાલયમાં દેખાયા નથી
બચુ ખાબડ આદિવાસી વિસ્તારમાં ભાજપના કદાવર નેતા ગણાય છે. જેઓ દીકરાઓના કારણે મંત્રીપદથી દૂર થઈ જાય તો નવાઈ નહીં. મનરેગા કૌભાંડમાં બન્ને દીકરાઓની ધરપકડ બાદથી બચુ ખાબડ સરકારથી દૂર છે, ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બન્ને આ મામલે દેખાઇ રહી છે. છેલ્લા 2 અઠવાડિયાથી મંત્રી બચુ ખાબડ મંત્રાલયમાં પણ દેખાયા નથી. મંત્રી બચુ ખાબડ બીજી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા છે, અગાઉની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા.
દીકરાઓની ધરપકડ પછી બચુ ખાબડે જાહેરમાં પ્રતિક્રિયા આપી
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ થઈ છે, ધરપકડ પછી બંને દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ જેલમાં છે. એવી અટકળો લગાવાઈ રહી છે કે પુત્રોના કારસ્તાનને પગલે મંત્રીએ પણ સરકારી કાર્યક્રમોથી અંતર બનાવી લીધું છે. ત્યારે મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ તેઓ PM મોદીના કાર્યક્રમમાં પણ ન આવ્યા, જે બાદ બાદ ચર્ચા ઉઠી છે કે શું હવે સરકાર બચુ ખાબડનું રાજીનામું લઈ લેશે કે પછી તેમને છાવરી લેશે. દીકરાઓની ધરપકડ પછી બચુ ખાબડે જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી કે "મારા દીકરા 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. તપાસમાં તથ્યો હશે તે સામે આવશે. અઢી લાખ મતદારો મારી સાથે છે." તેમણે પોતાની ગેરહાજરી અંગે ખુલાસો કરતા કહ્યું હતું, "હું ભાગેડુ ધારાસભ્ય નથી. હું કોઈ ભૂગર્ભમાં નથી ઉતર્યો, હું જાહેરમાં છું."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે