અમદાવાદમાં 12મી જૂને થયેલા ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક માત્ર જીવિત બચેલા વિશ્વાસ રમેશે આ જ અકસ્માતમાં જીવ ગુમાવનારા ભાઈને આજે અંતિમ વિદાય આપી. આ અવસરે વિશ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અત્રે જણાવવાનું કે આ અકસ્માતમાં વિશ્વાસ રમેશ તેના ભાઈ સાથે વિમાનમાં બેઠા હતા. રમેશ વિશ્વાસને ઈજાઓ થઈ હતી જ્યારે ભાઈએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. આજે જ્યારે ભાઈના પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી તો વિશ્વાસ રમેશ પોતાના આંસુ રોકી શક્યા નહીં. અકસ્માતમાં બચી ગયેલા વિશ્વાસે આ જ અકસ્માતમાં જેમનો જીવ ગયો તે ભાઈ અજયને ભારે મને અંતિમ વિદાય આપતા કહ્યું કે 'મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો હતો.'
આ અકસ્માત બાદ વિશ્વાસ રમેશે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને હજું પણ વિશ્વાસ નથી કે તેઓ બચી કેવી રીતે ગયા. આ અકસ્માતમાં 241 વિમાનમાં સવાર લોકો સહિત 270 જેટલા લોકોના જીવ ગયા છે. મૂળ ભારતીય પરંતુ બ્રિટિશ નાગરિક વિશ્વાસ રમેશે કહ્યું કે તેમને એવું મહેસૂસ થયું કે અમદાવાદથી ગેટવિક માટે નવ કલાકની મુસાફરી માટે વિમાન ઉડાણ ભર્યાના ગણતરીની પળો બાદ જાણે થોભી ગયું હતું અને લીલી તથા સફેદ બત્તીઓ ચાલું થઈ ગઈ હતી.
વિમાન દુર્ઘટનામાં જીવીત બચેલા વિશ્વાસ કુમાર ડિસ્ચાર્જ, તો ભાઈ અજયનો મૃતદેહ સોંપાતા પરિવારનું હૈયાફાટ રુદન #AhmedabadPlaneCrash #AirIndiaPlaneCrash #AirIndia #Vishwaskumar #Ahmedabad #ZEE24Kalak #Tragedy #Gujarat pic.twitter.com/goH2YSzgQ3
— Zee 24 Kalak (@Zee24Kalak) June 18, 2025
પીએમ મોદીએ પણ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસ રમેશ સાથે મુલાકાત કરી હતી અને હાલચાલ પૂછ્યા હતા. ડીડી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં લીસેસ્ટરના રહીશ વિશ્વાસ રમેશે કહ્યું હતું કે બધુ મારી આંખો સામે થયું. મને વિશ્વાસ નથી થતો કે હું બચી કેવી રીતે ગયો. એક પળ માટે તો એવું લાગ્યું કે હું મરવાનો છું. પરંતુ જ્યારે મારી આંખો ખુલી તો હું જીવતો હતો. મે મારી સીટથી મારો બેલ્ટ ખોલ્યો અને બહાર નીકળી ગયો.
તેમણે કહ્યું હતું કે મારી આંખો સામે એક એર હોસ્ટેસ અને અંકલ આંટીઓના મોત થઈ ગયા. એક મિનિટની અંદર એવું લાગ્યું જાણે વિમાન અટકી ગયું, લીલી અને સફેદ લાઈટો બળી રહી હતી. એવું લાગતું હતું કે વિમાનને વધુ ગતિ આપવા માટે જોર અપાઈ રહ્યું છે અને વિમાન અચાનક એક ઈમારત સાથે અથડાઈ ગયું.
અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં 12 જૂને સારવાર માટે ખસેડવામાં આવેલા વિશ્વાસ કુમારનું સ્વાસ્થ્ય સારૂ થતાં હવે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. વિશ્વાસ કુમાર રમેશને ગત મોડી રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વાસ કુમાર રમેશ તેના પરિવારજનો સાથે રવાના થઈ ગયો હતો.
વિશ્વાસ કુમારના ભાઈનું થયું હતું નિધન
40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. તે ભારતમાં પોતાના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ યાત્રામાં વિશ્વાસનો મોટો ભાઈ અજય કુમાર પણ સાથે હતો. બંને ભાઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સાથે સવાર થયા હતા. વિશ્વાસની સીટ 11A હતી પરંતુ તેનો ભાઈ બીજી લાઈનમાં બેઠો હતો. દુર્ઘટના બાદ વિશ્વાસનો જીવ બચી ગયો પરંતુ તેના ભાઈનું મોત થયું છે. દુર્ઘટના બાદ વિશ્વાસે પોતાના પિતાને વીડિયો કોલ કરી જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે, તે બચી ગયો છે, પરંતુ ભાઈ દેખાતો નથી. બાદમાં ગુજરાત પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી કે એક વ્યક્તિને છોડી બધા યાત્રીકોના મોત થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે