કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે જ્યારે તેઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા ત્યારે તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) વિરુદ્ધ બોલવાની ના પાડવામાં આવી હતી, કારણ કે તેનાથી 'હિન્દુઓ નારાજ થઈ શકે છે'. આ સિવાય આ અવસરે તેમણે રાહુલ ગાંધીના એ નિવેદનની પણ પ્રશંસા કરી જેમાં તેમણે પાર્ટીના અંદર એવા લોકોની ઓળખ કરવાની વાત કરી હતી જે ભાજપને મદદ કરી રહ્યા છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
શનિવારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોને કરેલા સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાર્ટીનું સૌથી પહેલું કામ પોતાના નેતાઓ અને કાર્યકરોને બે ગ્રુપમાં વહેચવાનું છે. એક ગ્રુપમાં એવા લોકો છે જે કોંગ્રેસની વિચારધારાને દિલથી માને છે અને જનતાની પડખે રહે છે. જ્યારે બીજા ગ્રુપમાં એવા લોકો છે જે જનતાથી કપાઈ ચૂક્યા છે (અળગા થઈ ચૂક્યા છે) અને તેમાંથી અડધા ભાજપ સાથે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે એવા નેતાઓ અને કાર્યકરોની ઓળખ કરવી જરૂરી છે અને તેમના પર કડક કાર્યવાહી કરાશે. એટલે સુધી કે તેમને પાર્ટીમાંથી કાઢી પણ મૂકવામાં આવી શકે છે.
RSS હિન્દુઓનું નેતૃત્વ નથી કરતું
રાહુલ ગાંધીના આ નિવેદનના વખાણ કરતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે તેમને યાદ છે કે જ્યારે તેઓ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત પ્રચાર માટે ગયા હતા. ત્યાં તેમને શિખામણ અપાઈ હતી કે તેઓ આરએસએસ વિરુદ્ધ કશું ન કહે. કારણ કે તેનાથી હિન્દુઓ નારાજ થઈ શકે છે. તેમણે કહ્યું કે RSS ના નેતૃત્વવાળો સંઘ પરિવાર હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો નથી, ઉલ્ટું તે ફક્ત તેમને ધર્મના નામે ગુમરાહ અને શોષિત કરે છે.
'ભાજપ ધર્મના નામે ઠગે છે'
રાજ્યસભા સાંસદ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એવું પણ કહ્યું કે હિન્દુ ધર્મમાં શંકરાચાર્યની હજારો વર્ષ જૂની પરંપરા રી છે. જે આજે પણ કાયમ છે. તેમણે સવાલ કર્યો કે હાલના સમયમાં તેમાંથી કયા શંકરાચાર્ય ભાજપ અને આરએસએસનું સમર્થન કરે છે? તેમણે વધુમાં કહ્યું કે ભાજપ ફક્ત એક એવું ગ્રુપ છે જે લોકોને ધર્મના નામે ઠગે છે અને સત્તા મેળવવા માંગે છે. તેમનું માનવું છે કે ભાજપનો અસલ હેતુ જનતાને લૂંટવાનો અને ધર્મના નામે સત્તા મેળવવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે