India On Trump tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારતે અમેરિકી ઈમ્પોર્ટ પર ટેરિફમાં કાપ મૂકવા પર સહમતિ જતાવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે આ પગલું એટલા માટે ભર્યું છે કારણ કે કોઈ તેમની અનફેર પ્રેક્ટિસની પોલ ખોલી રહ્યું છે. બીજી બાજુ આ અંગે ભારતનું કહેવું છે કે તેણે ટેરિફ ઘટાડવા મુદ્દે અમેરિકાને કોઈ કમિટમેન્ટ આપ્યું નથી. ઉલ્ટું આ મુદ્દાને ઉકેલવા માટે સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે.
સોમવારે 10 માર્ચ 2025ના રોજ વિદેશી મામલાની એક સંસદીય સમિતિને સંબોધિત કરતા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે કહ્યું કે ભારત-અમેરિકા માત્ર તત્કાળ ટેરિફ એડજસ્ટમેન્ટની જગ્યાએ પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર સમજૂતિ બાબતે કામ કરી રહ્યા છે. વાણિજ્ય સચિવે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે હજુ વાતચીત ચાલુ છે અને વેપાર ટેક્સ અંગે હાલ કોઈ સમજૂતિ થઈ નથી.
ટેરિફ પર ભારતનું સ્ટેન્ડ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા પર ચિંતા વ્યક્ત કરતા જ્યારે સમિતિએ સવાલ કર્યો કે આખરે ભારત મેક્સિકો, ચીન અને કેનેડાની જેમ ટેરિફ અંગે પોતાનો અવાજ બુલંદ કેમ કરતું નથી તો તેના વિશે વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે કહ્યું કે ભારતની આ બંને દોશો સાથે સરખામણી થઈ શકે નહીં. કારણ કે બંને દેશો સાથે અમેરિકાની સુરક્ષા ચિંતાઓ અને બોર્ડર ઈમિગ્રેશનના મુદ્દા છે. તેમણે કહ્યું કે ભારત હાલ રેસિપ્રોકલ ટેરિફથી બચી શકે છે.
ભારત પર રેસિપ્રોકલ ટેરિફ
અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની વાત કરી છે. તેની જાહેરાતના થોડા દિવસ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી વધુ પડતો ટેરિફ વસૂલે છે. તેમણે કહ્યું કે, ભારત અમારી પાસેથી ખુબ વધુ ટેરિફ વસૂલે છે. ખુબ જ વધુ. તમે ભારતમાં કશું જ વેચી શકો નહીં. આમ તો તેઓ હવે સહમત થઈ ગયા છે. ભારત હ વે પોતાના ટેરિફમાં કાપ કરવા માંગે છે કારણ કે કોઈ એવું આવ્યું છે જે તેમને એક્સપોઝ કરી રહ્યું છે. અમેરિકાએ 2 એપ્રિલ 2025થી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની વાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે