ઉત્તર પ્રદેશના મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડની મુખ્ય આરોપી મુસ્કાન રસ્તોગી હાલ જેલમાં બંધ છે. મુસ્કાન સાથે આરોપી સાહિલ પણ જેલની હવા ખાઈ રહ્યો છે. આરોપી મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મેરઠની જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારથી આ બંને જેલમાં ગયા છે ત્યારથી હાલત ખરાબ થઈ ગઈ છે. હવે એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ડ્રગ્સ અને નશાની લત ધરાવતા આ બંને આરોપીઓ જેલમાં નશાની માંગણી કરી રહ્યા છે. એટલું જ નહીં તેમને તો સાથે પણ રહેવું છે.
જેલમાં કરી નશાની માંગણી
બંનેને મારિજુઆના અને મોર્ફિનના ઈન્જેક્શન જોઈએ છે. ન આપવા પર બંને ભોજનની પણ મનાઈ કરી રહ્યા છે. જેલ પ્રશાસન બંનના આવા નખરાથી કંટાળ્યું છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે નશો ન મળવાના કારણે તેઓ વિચિત્ર હરકતો કરી રહ્યા છે. બંને એક સાથે એક બેરેકમાં રહેવા માંગે છે પરંતુ જેલના નિયમ મુજબ તે શક્ય નથી. મુસ્કાન એ પણ જાણે છે કે તેનો પરિવાર તેની મદદ નહીં કરે એટલે તેણે સરકારી વકીલની પણ માંગણી કરી છે.
નથી આવતી ઊંઘ
જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ મુસ્કાન અને સાહિલ બરાબર સૂઈ શકતા નથી. તેઓ ખાવાની ના પાડે છે. બેરેકમાં બેચેનીથી ફરતા જોવા મળ્યા છે. આ મામલે વરિષ્ઠ જેલ અધીક્ષક પીરેશ રાજ શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સાહિલ અને મુસ્કાન બંને લાંબા સમયથી નશો કરે છે. જેના કારણે તેમને બેચેનીની સમસ્યા થઈ રહી છે. રાતે ઊંઘ પણ આવતી નથી. આ કારણે ડોક્ટરોએ તેમને કેટલીક દવા આપી છે. હાલ જેલમાં બંધ આરોપીઓને મળવા માટે કોઈ આવ્યું નથી.
હત્યા પહેલા નશાની દવા
એટલું જ નહીં પોલીસે કહ્યું કે સૌરભને મારતા પહેલા તેને નશાની દવા આપવામાં આવી હતી. આ કેસમાં તપાસ અધિકારીઓએ જાણકારી આપી છે કે મુસ્કાને આ દવા ઉષા મેડિકલ સ્ટોરમાંથી ખરીદી હતી. ઉષા મેડિકલ સ્ટોર પર રવિવારે રેડ મારવામાં આવી હતી. મેરઠના ડ્રગ ઈન્સ્પેક્ટર પીયૂષ શર્માએ કહ્યું કે અમને ખબર પડી કે આ સ્ટોરમાંથી દવાઓ ખરીદી હતી. અમે આ જગ્યાની તલાશી લઈ રહ્યા છીએ અને આરોપી દ્વારા ખરીદવામાં આવેલી દવા વિશે જાણકારી ભેગી કરવા માટે બધા વેચાણ રેકોર્ડની તપાસ કરી રહ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે