સમગ્ર ગુજરાત અને દેશ માટે ગુરુવારનો દિવસ અત્યંત દર્દનાક રહ્યો. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો. અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે અમદાવાદના એરપોર્ટથી ટેકઓફ થયેલું એર ઈન્ડિયાનું વિમાન ગણતરીની પળોમાં મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ પર તૂટી પડ્યું. આ અકસ્માતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 265 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી ભીતિ છે. દુર્ઘટનાગ્રસ્ત બનેલા આ વિમાન વિશે એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.
એર ઈન્ડિયાના આ પ્લેન બોઈંગ 171 વિશે એવી વાત સામે આવી રહી છે કે આ વિમાન એક મહિના પહેલા જ અમદાવાદના એરપોર્ટથી ટેક્નિકલ ખામીના કારણે ઉડી શક્યું નહતું. છેલ્લી ઘડીએ લંડન જતી આ ફ્લાઈટ કેન્સલ કરાઈ હતી. પ્લેનના યાત્રીઓએ પણ આ બાબતે આક્રોશ ઠાલવીને કહ્યું કે હતું કે એર ઈન્ડિયા જૂના વિમાનો વાપરે છે. જેથી કરીને વારંવાર ટેક્નિકલ ખામીઓ જોવા મળે છે. ફ્લાઈટ કેન્સલ કરવી પડે છે અને મુસાફરોનો સમય બગડે છે.
હવે અહીં સવાલ એ થાય કે પેસેન્જરોનો આ આક્રોશ ધ્યાનમાં લેવાયો હોત અને ફરિયાદો પર તપાસ હાથ ધરાઈ હોત તો બની શકે કે આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. રિપોર્ટ મુજબ હજુ ગયા મહિને જ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 171 બોઈંગ વિશે મુસાફરોએ બળાપો કાઢ્યો હતો. સામાન્ય રીતે આ ફ્લાઈટ બપોરે 1.10 આસપાસ ઉડાણ ભરતી હોય છે. લોકો બેથી ત્રણ કલાક વહેલા પહોંચ્યા પરંતુ આમ છતાં ફ્લાઈટ ટાઈમે ઉપડી નહીં. ફ્લાઈટના સમયના એક કલાક પહેલા જ બોર્ડિંગ શરૂ થયું. અને તે પત્યા બાદ પણ મુશ્કેલીઓએ છેડો ન મૂક્યો. પેસેન્જરોને ફલાઈટમાં બેસાડી રાખયા બાદ બે કલાક સુધી અંદર જ બેસાડી રાખ્યા. ફ્લાઈટનું એસી પણ બરાબર કામ કરતું નહતું. મુસાફરો અકળાયા અને ત્યારબાદ જાહેર થયું કે ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરાઈ છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આકાશ વત્સ નામના એક યૂઝરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ વિમાન ક્રેશ થયું તેના બે કલાક પહેલા જ તે આ કમનસીબ ફ્લાઈટમાં બેઠો હતો. આ ફ્લાઈટમાં તે દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. ફ્લાઈટમાં ગડબડ હોવાની આશંકા અંગે વીડિયો પણ બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે